E-PRAAPTI Portal:નોકરીને બદલ્યા બાદ ઘણા લોકો તેમની જૂના પ્રોવિડેન્ટ ફંડ-પીએફ(Provident Fund-PF)ખાતાને ભૂલી જાય છે. ઘણા કર્મચારીઓ પાસે જૂના ખાતાના મેંબર આઈડી(MID) તો હોય જ છે, પણ તે વર્તમાન UAN સાથે જોડાયેલ હોતા નથી.
આ સંજોગોમાં ખાતામાં જમા નાણાં વર્ષો સુધી પડ્યા રહે છે. આ સંજોગોમાં હવે તમારે પરેશાન થવાની કોઈ જ જરૂર નથી. આ સમસ્યાને ઉકેલવા માટે એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ટૂંક સમયમાં જ ઈ-પ્રાપ્તી(E-PRAAPTI) નામનું નવું પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
અહેવાલ પ્રમાણે આ નવું પોર્ટલ ઓગસ્ટ 2026ના અંત ભાગ સુધીમાં લોંચ થઈ જાય તેવી શક્યતા છે. નવું પોર્ટલ રજૂ કરવાનો ઉદ્દેશ જૂના, બંધ થઈ ગયેલા અથવા તો નિષ્ક્રીય PF ખાતામાં ફસાયેલા પૈસા કર્મચારીઓ સુધી સરળતાથી પહોંચી શકાશે. આ માટે EPFO તેની સિસ્ટમને વધારે સુરક્ષિત અને ઝડપી બનાવવા પર કામ કરી રહેલ છે.
શા માટે PF ખાતા નિષ્ક્રીય બની જાય છે? EPFOના નિયમ પ્રમાણે જો કોઈ PF ખાતામાં સતત 36 મહિના સુધી કોઈ નવું યોગદાન આવતું નથી તો તેને ઈનઓપરેટિવ અકાઉન્ટ(Inoperative Account) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના એવા અનેક ખાતા નોકરી બદલવા, જૂની માહિતી ગુમ થઈ જવી અથવા UAN સાથે લિંક ન હોવાને લીધે નિષ્ક્રીય થઈ જાય છે.
અત્યારે દેશમાં 30.91 લાખથી વધારે એવા નિષ્ક્રીય PF ખાતા છે કે જેમાં આશરે 9,330 કરોડ રૂપિયાની ક્લેમ વગરની રકમ જમા પડેલી છે, તેને લીધે EPFO આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તૈયારીમાં છે.
E-PRAAPTI પોર્ટલ શુ છે? આ E-PRAAPTI પોર્ટલ એ એક ડિજિટલ પ્લેટફોર્મ હશે, જેની મદદથી કર્મચારી તેના જૂના PF ખાતાને શોધી શકશે,તેને વર્તમાન UAN સાથે જોડી શકશે અને જરૂર પડે તો ફસાયેલી રકમ ઉપાડવાની પ્રક્રિયા પણ પૂરી કરી શકાશે. આ પોર્ટલમાં આધાર મારફતે ઓળખની પૃષ્ટી થશે, જેથી વારંવાર દસ્તાવેજ જમા કરવા અથવા ઓફિસના ધક્કા ખાવાની જરૂર ખૂબ જ ઓછી થઈ જશે.
