IAS-IPS અધિકારીઓ પર કોનો કંટ્રોલ હોય છે: રાજ્ય સરકારનો કે કેન્દ્ર સરકારનો?

IAS અને IPS અધિકારીઓ પર ખરેખર કોનો કંટ્રોલ હોય છે? જાણો કઈ સત્તાઓ રાજ્ય સરકાર પાસે છે અને કઈ મહત્વપૂર્ણ સત્તાઓ માત્ર કેન્દ્ર સરકાર (રાષ્ટ્રપતિ) પાસે રહેલી છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 05 Aug 2026 02:17 PM (IST)Updated: Wed, 05 Aug 2026 02:17 PM (IST)
who-controls-ias-ips-officers-center-or-state-government-rules

IAS IPS control authority: ભારતમાં વહીવટી સેવાઓનું માળખું ખૂબ જ રસપ્રદ છે. સામાન્ય રીતે લોકોના મનમાં એક પ્રશ્ન અવારનવાર થતો હોય છે કે દેશના સર્વોચ્ચ અધિકારીઓ એવા IAS (Indian Administrative Service) અને IPS (Indian Police Service) પર ખરેખર કોનો કંટ્રોલ હોય છે? રાજ્ય સરકારનું કે કેન્દ્ર સરકારનું?

IAS અને IPS એ ભારતની અખિલ ભારતીય સેવાઓ (All India Services) નો હિસ્સો છે. આ અધિકારીઓની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા UPSC પરીક્ષા દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને કામ કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાં કૅડર ફાળવવામાં આવે છે. આ જ કારણે તેમના પર કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બંનેનો કંટ્રોલ રહેલ હોય છે. આ કંટ્રોલને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે:

તાત્કાલિક અને રોજબરોજનો કંટ્રોલ (રાજ્ય સરકાર)

જે રાજ્યનું કૅડર અધિકારીને ફાળવવામાં આવ્યું હોય, ત્યાંની રાજ્ય સરકાર તેમના પર રોજબરોજનું અને તાત્કાલિક નિયંત્રણ ધરાવે છે.

બદલી અને પોસ્ટિંગ: અધિકારીની કયા જિલ્લામાં કે કયા વિભાગમાં નિમણૂક કરવી, તે નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકાર (મુખ્યમંત્રી અને સામાન્ય વહીવટ વિભાગ) દ્વારા લેવામાં આવે છે.

સસ્પેન્શન: જો કોઈ અધિકારી પોતાની ફરજમાં બેદરકારી દાખવે કે ગંભીર ભૂલ કરે, તો રાજ્ય સરકાર તેમને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી શકે છે. જોકે, આ સસ્પેન્શન માટે પણ કેન્દ્ર સરકારના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને લાંબા સમય સુધી સસ્પેન્ડ રાખવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે.

કેન્દ્રીય મંત્રાલયોનો કંટ્રોલ

કેન્દ્ર સ્તરે અલગ-અલગ મંત્રાલયો આ અધિકારીઓની નોડલ એજન્સી તરીકે કામ કરે છે.

IAS અધિકારીઓ માટે: કેન્દ્રમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) તેમની નોડલ એજન્સી છે. આ વિભાગ સીધો ભારતના વડાપ્રધાનના વહીવટ હેઠળ આવે છે.

IPS અધિકારીઓ માટે: કેન્દ્રમાં ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs - MHA) તેમની નોડલ એજન્સી છે, એટલે કે તેમના પર કેન્દ્રીય ગૃહમંત્રીનું સીધું નિયંત્રણ હોય છે.

અંતિમ અને સર્વોચ્ચ નિયંત્રણ (કેન્દ્ર સરકાર)

આ અધિકારીઓની આખરી નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. આથી, તેમના પર અંતિમ અને સર્વોચ્ચ અધિકાર કેન્દ્ર સરકારનો જ રહે છે.

અધિકારીને હોદ્દા પરથી હટાવવા

કોઈપણ IAS કે IPS અધિકારીને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવાની (Dismiss) કે પદ પરથી હટાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોતી નથી. આ આખરી અને મહત્વપૂર્ણ સત્તા માત્ર ભારતના રાષ્ટ્રપતિ એટલે કે કેન્દ્ર સરકાર પાસે જ રહેલી છે.