Krishnavataram Trailer: એવું લાગી રહ્યું છે કે, જાણે હિન્દી સિનેમામાં પૌરાણિક કથાઓનો દોર પાછો આવ્યો છે. નવી ફિલ્મો અને સિરીઝોની જાહેરાત થઈ રહી છે. પૌરાણિક કથાઓ પર બનતી ફિલ્મોની યાદીમાં હાલમાં જ વધુ એક નામ જોડાયું છે અને આ ફિલ્મનું નામ છે 'કૃષ્ણાવતારમ'. પવિત્ર કૃષ્ણ જન્મભૂમિ પર 'કૃષ્ણાવતારમ'નું ભવ્ય ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મના લેખક આપણાં ગુજરાતી છે.
સાઉથ સિનેમામાં પૌરાણિક કથા, લોકકથાઓ અને કિવદંતિઓ પર આધારિત ફિલ્મોનો લાંબો અને સફળ ઈતિહાસ છે. જો કે બૉલિવૂડ પણ તેમાં પાછળ નથી, સમયાંતરે હિન્દી ફિલ્મો પણ આવતી જ રહે છે. એક તરફ રણબીર કપૂરની રામાયણની ચર્ચા ચાલી રહી છે, તેવામાં જ 'કૃષ્ણાવતારમ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
'કૃષ્ણાવતારમ' ફિલ્મનો પ્રથમ પાર્ટ છે, જેનું નામ Krishnavataram Part 1: The Heart (હ્રદયમ) રાખવામાં આવ્યું છે. આ ટ્રેલરની શરૂઆત ભગવાન કૃષ્ણ અને રાધા સાથે થાય છે. કૃષ્ણની રાસલીલાથી માંડીને તેમના રૂકમણી સાથેના વિવાહ, રાણી સત્યભામા સાથે તેમના સંવાદોનો તેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયામાં ડૂબતી દ્વારકાની ઝલક પણ જોવા મળે છે. જો કે તેમાં શ્રીકૃષ્ણની બાળલીલાનો ઉલ્લેખ નથી. ટ્રેલરમાં VFX અને સિનેમેટોગ્રાફીનો અદ્દભૂત કમાલ જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર લોકો ટ્રેલરના ભરપુર વખાણ કરી રહ્યા છે. પ્રકાશ કાપડિયા અને રામ મોરી દ્વારા લખવામાં આવેલી આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફી આયંનિકા બોસની છે, જ્યારે મ્યૂઝિક પ્રસાદ.એસનું છે. કેટલાક લોકોએ પહેલા આવેલી આવી ફિલ્મો કરતાં 'કૃષ્ણાવતારમ'ને સારી ગણાવી તો, કેટલાકે આ ફિલ્મના ટ્રેલરને નિતેશ તિવારીની રામાયણથી ઉમદા કહી છે.
હાર્દિક ગજ્જર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી 'કૃષ્ણાવતારમ'માં સિદ્ધાર્થ ગુપ્તાએ ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવી છે. આ સિવાય સુષ્મિતા ભટ્ટે રાધા, સંસ્કૃતિ જયાનાએ સત્યભામા અને નિવાશિની કૃષ્ણળે રુક્મણીની ભૂમિકા ભજવી છે. 'કૃષ્ણાવતારમ' આગામી 7 મે, 2026ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે.
