Singer Asha Bhosle passes away: ભારતીય સંગીત જગત માટે આજે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'ક્વીન ઓફ મેલોડીઝ' તરીકે ઓળખાતા અને કરોડો સંગીત પ્રેમીઓના દિલ પર રાજ કરનારા દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. પારિવારિક સૂત્રો દ્વારા આ કરુણ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.
Legendary singer Asha Bhosle passes away at 92 in Mumbai hospital: Family sources pic.twitter.com/chpJK9X0xd
— Press Trust of India (@PTI_News) April 12, 2026
તાજેતરમાં જ તેમને છાતીમાં ચેપ (Chest Infection) અને ગંભીર થાકની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તબીબોના અથાગ પ્રયત્નો છતાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
એક યુગનો અંત
આશા ભોંસલેના નિધનથી ભારતીય સિનેમા અને સંગીત ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. 8 સપ્ટેમ્બર, 1933ના રોજ જન્મેલા આશા તાઈએ માત્ર 9 વર્ષની ઉંમરે પોતાના પિતાના નિધન બાદ પરિવારને આર્થિક ટેકો આપવા માટે ગાયકીની શરૂઆત કરી હતી. તેમણે તેમની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને ભારતીય સંગીતને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવી હતી.
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને અનેક સન્માન
આશા ભોંસલેએ 20થી વધુ ભારતીય અને વિદેશી ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાયા છે. વર્ષ ૨૦૧૧માં તેમનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ ધરાવતી કલાકાર તરીકે નોંધાયું હતું. ભારત સરકારે તેમને 'પદ્મ વિભૂષણ' અને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' જેવા સર્વોચ્ચ નાગરિક સન્માનોથી નવાજ્યા હતા. તેમના યાદગાર ગીતો જેવા કે 'પિયા તુ અબ તો આજા', 'દમ મારો દમ', 'ચુરા લિયા હૈ તુમને જો દિલ કો', અને 'ઈન આંખો કી મસ્તી' હંમેશા ગુંજતા રહેશે.
