Ahmedabad News: અમદાવાદ શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી વેચતા વિક્રેતાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં હોય છે. ત્યારે આવા તત્વો વિરુદ્ધ મનપાની ફૂડ શાખા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઋષભ ઘી ભંડાર નામની એક પેઢી પર ફૂડ શાખાએ દરોડો પાડીને પામોલિન તેલનો ભેળસેળયુક્ત 1768 કિલો અંદાજિત 11.43 લાખનો બનાવટી ઘીનો જથ્થો કબજે કર્યો છે.
નકલી ઘીના વેપાર પર દરોડો
મળતી માહિતી મુજબ, સાબરમતી વિસ્તારમાં ઋષભ ઘી ભંડારના નામે ડિસ્ટ્રીબ્યુટર પટવા બિલ્ડીંગ ખાતે વેપાર કરે છે. શનિવારના રોજ મનપાની ફૂડ શાખાએ ત્યાં દરોડો પાડ્યો હતો. જેમાંથી અગ્નિ પ્યોર દેશી ઘી અને નોવા પ્યોર દેશી ગાયનું ઘીનો 15 કિલોનો જથ્થો મળ્યો હતો. જ્યારે આ દિશામાં ફૂડ વિભાગે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે,આ ઘીનું ઉત્પાદન ઈન્દોરમાં થાય છે. જેથી આ અગે એએમસી ફૂડ વિભાગે ઇન્દોર કોર્પોરેશનને જાણ કરી હતી.
કેવી રીતે ભાંડો ફૂટ્યો
અમદાવાદ મનપા ફૂડ વિભાગે 20 જુલાઈના રોજ કાલુપુર ઘી બજારમાં ઘી વિક્રેતા જનક વીરેન્દ્ર મોદીને ત્યાં અગ્નિ દેશી ગાયનું ઘી બ્રાન્ડનું સેમ્પલ લીધું હતું. જે બાદ આ ઘીના સેમ્પલનું લેબ ટેસ્ટ કરાતા તે પામોલિન તેલની ભેળસેળ વાળું સામે આવ્યું હતું. જેથી આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું હતું. આથી આ રિપોર્ટના આધારે ફૂડ શાખા ઉત્પાદક અને ડિસ્ટ્રીબ્યુટરની શોધખોળ કરતાં સાબરમતી આવી ગઈ હતી.
મનપા દ્વારા સાત ટનનો જથ્થો જપ્ત
AMC ફૂડ શાખાએ માત્ર બે મહિનાના સમયગાળામાં સાત ટનથી વધુનો નકલી ઘીનો જથ્થો કબજે કર્યો છે. ફૂડ શાખાએ વચન કાઉ ઘી અને રિધમ કાઉ ઘીનો જથ્થો 4550 કિલો, કઠવાડામાં સ્વામિનારાયણ ઘી અને માખન મિશ્રીનો 452 કિલો, ગોતામાં અમલ અને સાગર ઘીના બનાવટી ઘીનો જથ્થો કબ્જે કર્યો છે.
