Ahmedabad Couple Divorce: અમદાવાદમાં એક અનોખા કિસ્સામાં, ડુંગળી અને લસણ જેવા સામાન્ય ખાદ્ય પદાર્થોને કારણે ઊભા થયેલા આહાર સંબંધી મતભેદો એક દંપતીના લગ્નજીવનના અંતનું કારણ બન્યા છે. પત્ની દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના કડક નિયમો પાળી ડુંગળી-લસણનો ત્યાગ કરવાનો નિર્ણય પતિને અસ્વીકાર્ય બનતા, આ મામલો છેવટે છૂટાછેડામાં પરિણમ્યો. તાજેતરમાં, ગુજરાત હાઈકોર્ટે પત્ની દ્વારા છૂટાછેડાને પડકારતી અપીલને ફગાવી દીધી છે, જોકે પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ યથાવત રાખ્યો છે.
બે અલગ-અલગ રસોઈ વ્યવસ્થા ઊભી કરવી પડી
વર્ષ 2002માં થયેલા લગ્ન પછી તરત જ આ અનોખા કિસ્સાની શરૂઆત થઈ હતી. પત્ની, સ્વામિનારાયણ સંપ્રદાયની કડક અનુયાયી હોવાથી, ડુંગળી અને લસણનો બિલકુલ ઉપયોગ કરતી ન હતી. બીજી તરફ, પતિ અને તેના પરિવારને આવા કોઈ આહાર નિયંત્રણો ન હોવાથી, ઘરમાં બે અલગ-અલગ રસોઈ વ્યવસ્થા ઊભી કરવી પડી હતી. આ પરિસ્થિતિ લગ્નજીવનમાં કડવાશનું મુખ્ય કારણ બની અને ટૂંક સમયમાં જ તેમના લગ્ન સંબંધમાં તિરાડ પડી હતી.
પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી
સમય જતાં, આ મતભેદો એટલા ઉગ્ર બન્યા કે પત્ની પોતાના બાળક સાથે સાસરી છોડીને પિયર જતી રહી. આ ઘટના બાદ, વર્ષ 2013માં પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી, જેમાં પત્ની પર "ક્રૂરતા અને ત્યાગ"નો આરોપ મૂકવામાં આવ્યો હતો. દસ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી આ કાનૂની લડાઈનો ફેમિલી કોર્ટે 8 મે, 2024ના રોજ ચુકાદો આપ્યો હતો. કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી, પરંતુ સાથે જ પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો.
છૂટાછેડાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો
ફેમિલી કોર્ટના આ ચુકાદાને પડકારવા માટે બંને પક્ષો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. પત્નીએ છૂટાછેડાના નિર્ણયને રદ કરવા અને ભરણપોષણનો અમલ કરાવવાની માંગ કરી, જ્યારે પતિએ ભરણપોષણ ચૂકવવાના આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો. સુનાવણી દરમિયાન, પત્નીના વકીલે જણાવ્યું કે પતિએ ફેમિલી કોર્ટમાં દાવો કર્યો હતો કે પત્નીની ધાર્મિક માન્યતા આધારિત આહાર પસંદગીઓ ઝઘડાનું મૂળ કારણ હતી અને તે કડક વલણ ધરાવતી હતી. તેના જવાબમાં, પતિના વકીલે રજૂઆત કરી કે તેમના ક્લાયન્ટ અને તેમની માતા પત્ની માટે ડુંગળી-લસણ વગરનું ભોજન બનાવી આપતા હતા.
ડુંગળી-લસણ ખાવાની બાબત મતભેદોનું મુખ્ય કારણ
પતિએ હાઈકોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, ડુંગળી અને લસણનું સેવન એ પક્ષકારો વચ્ચેના મતભેદોનું મુખ્ય કારણ હતું. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે પત્નીની કટ્ટરતા અને યાતના તથા હેરાનગતિ ના કારણે તેમને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને મહિલા પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરવો પડ્યો હતો.
અંતે, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પત્નીએ પોતે છૂટાછેડાથી કોઈ વાંધો ન હોવાનું નિવેદન આપ્યું હતું. જસ્ટિસ સંગીતા વિશન અને જસ્ટિસ નિશાકા ઠાકોરની ખંડપીઠે આ નિવેદનને ધ્યાનમાં લઈને, છૂટાછેડાના મુદ્દા પર વધુ તપાસ કરવાની જરૂર ન હોવાનું નોંધ્યું અને પત્નીની અપીલને ફગાવી દીધી હતી. ભરણપોષણના મુદ્દે, પત્નીએ ફરિયાદ કરી કે પતિ નિર્ધારિત રકમ ચૂકવી રહ્યા નથી. તેના જવાબમાં, પતિએ બાકી રકમ હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં હપ્તાઓમાં જમા કરાવવા સંમતિ દર્શાવી હતી.
