Kirti Patel Controversy: મહાશિવરાત્રીના પર્વ દરમિયાન જૂનાગઢના ગિરનાર સ્થિત મૃગીકુંડમાં નહાવાના વિવાદ બાદ હવે આ મામલો વધુ ગરમાયો છે. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે આ કુંડમાંથી બહાર કાઢવામાં આવતા, સીધો ઇન્દ્રભારતી બાપુ પર નિશાન સાધ્યું છે અને તેમના પર ગંભીર આક્ષેપો કર્યા છે. કીર્તિ પટેલે દાવો કર્યો છે કે તેમને ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે તેમના પોતાના શિષ્યો ત્યાં સ્નાન કરી રહ્યા હતા.
કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને ઇન્દ્રભારતી બાપુ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મૃગીકુંડમાં ઇન્દ્રભારતી બાપુના અનેક શિષ્ય હતા, તો તેમને કેમ બહાર ન કાઢવામાં આવ્યા? જો ઇન્દ્રભારતી બાપુને ગુરુ બનાવો તો તેઓ આંગળી પકડીને સ્નાન કરાવે, અને બીજાના શિષ્યો પાપી? હું હવે અરીસો બતાવીશ. તમારા ઈશારે મને કાઢવામાં આવી છે. આજ સુધી બધી વાતો જાણવા છતાં હું ચૂપ રહી હતી, પરંતુ હવે તમે શું કરો છો તે હું કહી બતાવીશ.
કીર્તિ પટેલે રાત્રે 9 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ થઇને પૂરવા સાથે ખુલાસા કરવાની જાહેરાત કરી છે. કીર્તિ પટેલની પોસ્ટ બાદ આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. જોકે, આ સમગ્ર મામલે ઇન્દ્રભારતી બાપુ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે નિવેદન સામે આવ્યું નથી. કીર્તિ પટેલ દ્વારા હવે સીધા ઇન્દ્રભારતી બાપુ પર આક્ષેપ થતા, આગામી સમયમાં આ વિવાદ કેવું સ્વરૂપ ધારણ કરશે તે જોવું રહ્યું. કીર્તિ પટેલની આ પોસ્ટના કારણે આ વિવાદ જરૂરથી વધુ ઘેરો બન્યો છે અને સનાતન ધર્મના વર્તુળોમાં તેની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ શિવરાત્રીના અવસરે કીર્તિ પટેલ મૃગીકુંડમાં સ્નાન કરતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. કીર્તિ પટેલ કોના કહેવાથી અને કોની મરજીથી ત્યાં પહોંચી હતી, તે પણ એક તપાસનો વિષય બન્યો છે. આ વીડિયો સામે આવતા જ સાધુ-સંતો અને સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક લોકો દ્વારા આને સનાતન ધર્મનું અપમાન ગણાવી કીર્તિ પટેલ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ વિવાદ બાદ તેમને કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, અને હવે તેમણે ઇન્દ્રભારતી બાપુ પર આ ગંભીર આરોપો લગાવ્યા છે.
