UpdatedIST

Amul AI: સહકારને સ્માર્ટ બનાવતી નવિન ક્રાંતિનો પ્રારંભ; CM ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ AI નું લોકાર્પણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં પાછલા 11 વર્ષમાં દેશની આર્થિક વિકાસયાત્રા તેજ ગતિએ આગળ વધી છે તેમાં ટેકનોલોજીનો મહત્વનો ફાળો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 12 Feb 2026 12:06 AM (IST)Updated: Thu 12 Feb 2026 12:06 AM (IST)
amul-ai-the-beginning-of-a-new-revolution-that-makes-cooperation-smart-cm-bhupendra-patel-launched-amul-ai-giving-a-new-direction-to-the-dairy-sector-through-artificial-intelligence-690217

Amul : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કરતાં સ્પષ્ટ પણે જણાવ્યું કે આ અમૂલ એ.આઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલ સ્ટોન બનશે.

રાજ્યના 18,500થી વધુ ગામડાઓમાં 36 લાખ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા અને વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાની તથા ડેરી બ્રાન્ડની ખ્યાતિ પ્રાપ્ત અમૂલ દ્વારા ખેડૂતથી ટેક્નોલોજી સુધી સહકારને સ્માર્ટ બનાવતી નવિન અમૂલ એ.આઈ. ક્રાંતિનો પ્રારંભ અવસર આણંદમાં યોજવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ અન્ન નાગરિક પૂરવઠા મંત્રી રમણ સોલંકી, રાજ્ય મંત્રી કમલેશ પટેલ અને ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના અધ્યક્ષ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં પાછલા 11 વર્ષમાં દેશની આર્થિક વિકાસયાત્રા તેજ ગતિએ આગળ વધી છે તેમાં ટેકનોલોજીનો મહત્વનો ફાળો છે.

આ સંદર્ભમાં તેમણે ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની સફળતાનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે, જ્યારે વડાપ્રધાનએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની દેશમાં શરૂઆત કરાવી ત્યારે સૌને સવાલ હતો કે આ કેવી રીતે સફળ થશે? આજે ભારત યુ.પી.આઈ. ટ્રાન્ઝેક્શનમાં અગ્રેસર બની ગયું છે અને નાનામાં નાનો વેપારી, શાકભાજીની લારી, ચાની કીટલી સુધીના નાના લોકો પણ ડીજીટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તે તેની આગવી સફળતા છે.

વડાપ્રધાનએ 21મી સદીના અદ્યતન ટેકનોલોજી યુગમાં એ.આઈ. આધારિત વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સરકાર, સહકાર અને ટેકનોલોજીની ત્રિવેણીથી આધુનિક વિકાસની ગતિ અનેક ગણી વધી ગઈ છે તેને હવે એ.આઈ. વધુ સંગીન બનાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન હંમેશા નાના માણસો, ગ્રામીણ ખેડૂતો, પશુપાલકોનું હિત વિચારીને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો જ ધ્યેય રાખ્યો છે. તેમના નેતૃત્વમાં ત્રણ કર્તવ્ય પર આધારિત આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ દૂધ ઉત્પાદકોના હિતને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.

એટલું જ નહીં, ડેરી ઈકો સિસ્ટમને મજબૂત કરવા 20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે વિશેષ ફંડની પણ કેન્દ્રીય બજેટમાં જોગવાઈ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમૂલે પોતાના સભાસદો, દૂધ ઉત્પાદકોને વધુ આવક મળે તેવી નવિનતમ ટેકનોલોજીનો ઉપયોગ ડિજિટલ ક્રાંતિથી કર્યો છે. પોતાની સુવિકસિત આગવી આઈ.ટી. સિસ્ટમમાં પશુપાલકો, દૂધ ઉત્પાદકો, સભાસદોનો જે ડેટાબેઝ છે તેને ઇન્ટીગ્રેટ કરીને હવે અમૂલ એ.આઈ.થી એડવાન્ટેજ ઇન્ડિયા માટે સજ્જ થયું છે.