UpdatedIST

Anand: મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું રાજ્યાવ્યાપી લોન્ચિંગ, ગુજરાતના 2666 ગામોને મળશે પોતિકા ગ્રામ પંચાયત ઘર

શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી ગુજરાતમાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું સરકારનું લક્ષ્ય

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 30 Jan 2026 05:15 PM (IST)Updated: Fri 30 Jan 2026 05:26 PM (IST)
cm-bhupendra-patel-performs-e-groundbreaking-for-2666-gram-panchayat-buildings-in-gujarat-682560
HIGHLIGHTS
  • ગુજરાતના 2,666 ગામમાં રૂ. 663 કરોડના ખર્ચે ગ્રામ પંચાયત ઘરનું નિર્માણ થશે

Anand: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કર્યું હતુ.

આ તકે મુખ્યમંત્રીએ જણવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને 100 ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રાજ્યના આ 2666 ગામોમાં કુલ રૂ. 663 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.

તેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ પણ પંચાયત મંત્રી રૂષિકેશ પટેલ અને અન્ન નાગરિક પૂરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યુ હતુ.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના 114 તાલુકા મથકના એવા ગામો જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. જેના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે તથા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાને આપેલો મંત્ર સમગ્ર અને સંતુલિત વિકાસથી સાકાર થશે.

મુખ્યમંત્રીએ વિકાસની રાજનીતિને ગતિ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિકાસનો સ્કેલ અને સ્પીડ વધ્યા છે. શહેરોમાં વધતા શહેરીકરણના દબાણને સંતુલિત કરવા ગ્રામ વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં ગ્રામ પંચાયતોના ઉત્થાન માટે કેન્દ્રિત આવો કાર્યક્રમ રાજ્યમાં પ્રથમવાર યોજાઈ રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાણી સંરક્ષણ માટે “કેચ ધ રેન” અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરેક ધારાસભ્યને રૂ. 50 લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી સ્થાનિક સ્તરે રિચાર્જિંગ વ્યવસ્થાઓ ઉભી કરી શકાય. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાની અપીલ કરીને જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને આવતી પેઢીને નિરોગી ભવિષ્ય આપવાનો સંકલ્પ લેવા સૌને જણાવ્યું હતું.

30મી જાન્યુઆરીના શહીદ દિવસ તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય બાપુને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોનું ભાવ સ્મરણ કરતા તેમણે જણાવ્યું કે, ગાંધીજીએ ગ્રામ સ્વરાજનો સંદેશ આપીને ગામડાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો માર્ગ દર્શાવ્યો હતો. તેમની આ વિચારધારા આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રૂ. 663 કરોડના ખર્ચે સમગ્ર રાજ્યમાં 2666 ગ્રામ પંચાયત ભવનોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેનાથી ગુજરાતના ગામડાઓના વિકાસ માટે નવી દિશા મળશે તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.

વધુમાં મંત્રીએ ભાદરણના સરપંચ ઉદયભાઈ પટેલને ગામના સર્વાગી વિકાસ માટે અભિનંદન પાઠવ્યા હતા તથા ઉપસ્થિત વિવિધ જિલ્લાના ગામોના સરપંચોને ભાદરણ ગામમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

સમગ્ર રાજ્યમાં સરપંચ અને તલાટી કમ મંત્રી એક જ જગ્યાએ બેસીને ગામડાના વિકાસ માટે નક્કર કાર્ય કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 હજારથી વધુ આધુનિક ગ્રામ સચિવાલય બનાવવાની નેમ વ્યક્ત કરીને મહાત્મા ગાંધીની કથન "ગામડાઓમાં ભારતનો આત્મા વસે છે" તેને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતના ગ્રામીણ વિકાસ માટે ગૌરવપૂર્ણ છે. રાજ્યની 2666 નવી ગ્રામ પંચાયતોના ઈ-ખાતમુહૂર્ત અને 114 ગામોમાં ‘‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’’ના લોન્ચિંગ સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેમણે ભાદરણ જેવા પ્રજાભિમુખ વહીવટ ધરાવતા ગામની પસંદગી કરવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે વધુમાં ભાદરણ ગામના વિકાસ મોડેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ગામે જન સહયોગ અને સુંદર વહીવટ દ્વારા રાજ્યમાં એક નવી રાહ ચીંધી છે. ખાસ કરીને પાણી માટે મીટર સિસ્ટમ દાખલ કરીને આ ગામે સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.