Bharuch: અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને GPCB વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલ 'Common Effluent Treatment Plant' પ્રોજેક્ટને GPCBએ 5 વર્ષ માટે કન્સેન્ટ ફોર એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ઓપરેશન મંજૂરી આપી દેતા અંકલેશ્વરના ઔદ્યોગિક આલમમાં ખુશીનો માહોલ ફેલાયો છે.
ઉપવાસ આંદોલન પછી મંજૂરીની મહોર
પાછલા એક વર્ષથી CCA મંજૂરી અટકેલી હોવાથી ઉદ્યોગ અને કારખાનેદારોએ ગાંધીનગરમાં ઉપવાસ અને આંદોલનનો માર્ગ અપનાવેલ હતો. તે સમયે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની દરમિયાનગીરી અને ખાતરી પછી આંદોલન પાછું ખેચવામાં આવ્યું હતું. જ્યારે વહીવટી તંત્ર સાથે થયેલી ચર્ચાઓ અને જરુરી પ્રોસેસ પૂરી થયા બાદ છેલ્લે મંજૂરી આપી દેવાઈ છે.
500થી વધુ MSME એકમોને ફાયદો
GPCBએ આપેલી મંજૂરીને પગલે અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500થી વધુ MSME ઉદ્યોગો માટે વિકાસ અને વિસ્તારનો દરવાજો ઉઘડ્યો છે. કારખાનેદારોના જણાવ્યા મુજબ, આ પરવાનગી મળવાથી પર્યાવરણના ધોરણોનું પાલન કરવું વધારે સરળ બની જશે. તેમજ ઉદ્યોગોના ઉત્પાદનમાં પણ બઢોતરી થવાની સાથે જ નવા રોકાણો આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
ઉદ્યોગ અને પર્યાવરણ વચ્ચે સમતોલપણું જળવાશે
ઔદ્યોગિક એકમોએ આ મંજૂરી માટે GPCB અને ગુજરાત સરકારનો આભાર માન્યો છે કે, CETP પ્રોજેક્ટને મંજૂરી મળવાથી પ્રદૂષણમાં નિયંત્રણની કામગીરી ખૂબ જ અસરકારક સાબિત થશે. તેમજ આ પ્રોજેક્ટ ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની સુરક્ષા જાળવવામાં પણ ખૂબ જ લાભદાયી સાબિત થશે.
