Laalo Krishna Sada Sahaayate: ‘લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે’ ગુજરાતી ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. દરરોજ નવા કમાણીના રેકોર્ડ તોડતી આ ફિલ્મ ક્યારનીય સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ચૂકી છે અને હવે 100 કરોડના જાદુઈ આંકડાને પાર કરવાની તૈયારીમાં છે.
આ ફિલ્મ પ્રત્યે લોકોનો ક્રેઝ પણ અનોખો જોવા મળી રહ્યો છે. મહુવા પાસેના સમઢિયાળા ગામના યુવાન વિરાટભાઈએ ફિલ્મના સપોર્ટમાં અનેરું પગલું ભર્યું છે – તેઓ સમઢિયાળાથી દ્વારકાધીશના દર્શને પગપાળા જઈ રહ્યા છે!
વિરાટભાઈ એ જ યુવાન છે જેનો એક વીડિયો કેટલાય દિવસ પહેલાં ખૂબ વાયરલ થયો હતો. તેમણે જાતે કહ્યું હતું કે જીવનમાં સમસ્યોથી પરેશાન થઈને તે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, પરંતુ ‘લાલો’ ફિલ્મ જોયા પછી તેણે આત્મહત્યાનો વિચાર છોડી દીધો અને જીવવાની નવી ઊર્જા મળી.
જ્યારે ‘લાલો’ ફિલ્મની ટીમ મહુવામાં આવી હતી ત્યારે વિરાટભાઈએ ટીમ સમક્ષ આ વાત કહી અને ફિલ્મમાં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા શ્રુહદભાઈએ તેને ગળે લગાવી આશીર્વાદ આપ્યા હતા. તે જ ક્ષણે વિરાટભાઈએ સંકલ્પ લીધો કે હું દ્વારકા પગપાળા જઈશ.
હવે તે સંકલ્પ પૂરો કરવા વિરાટભાઈ સમઢિયાળાથી પગપાળા યાત્રા પર નીકળી ગયા છે. તેમની સાથે અનેક લોકો પણ જોડાયા છે. આશરે 10 દિવસમાં તેઓ દ્વારકાધીશના દર્શન કરશે. માર્ગમાં ગામેગામ લોકો તેમનો ઉત્સાહપૂર્વક સ્વાગત અને સહકાર આપી રહ્યા છે.
વિરાટભાઈનું કહેવું છે: “લાલો ફિલ્મે મને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે. શ્રીકૃષ્ણ સદા સહાયતે – આ સંદેશ હવે મારા જીવનનો મંત્ર બની ગયો છે.”
