Western Railway: કચ્છ વિસ્તારના ઔદ્યોગિક વિકાસ અને બંદર આધારિત માલપરિવહનને વધુ ઝડપી બનાવવા તરફ પશ્ચિમ રેલવેએ વધુ એક મોટો માઇલસ્ટોન હાસિલ કર્યો છે. અમદાવાદ મંડળ હેઠળ આવતા સામાખિયાળી–ગાંધીધામ ચોહરીકરણ (Quadrupling) પ્રોજેક્ટ અંતર્ગત સામાખિયાળી અને ભચાઉ વચ્ચે નવસર્જિત 32.90 ટ્રેક કિલોમીટર લાંબી ત્રીજી અને ચોથી રેલ લાઇનનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે. હવે આ રૂટ પર યાત્રી અને માલગાડીઓ શરૂ કરતા પહેલા 05 અને 06 ઑગસ્ટ, 2026ના રોજ રેલવે સુરક્ષા આયુક્ત (CRS) દ્વારા આખરી સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે.
120 KMની ઝડપે સ્પીડ ટ્રાયલનું શેડ્યૂલ
રેલવે સુરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ અને અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદ પ્રકાશ સહિત વરિષ્ઠ અધિકારીઓનું દળ આ ચકાસણી હાથ ધરશે-
05 ઑગસ્ટ, 2026: સામાખિયાળીથી ભચાઉ વચ્ચેની ડાઉન લાઇન પર મોટર ટ્રોલી દ્વારા સઘન નિરીક્ષણ કરાશે.
06 ઑગસ્ટ, 2026: ભચાઉથી સામાખિયાળી વચ્ચેની અપ લાઇન પર ટ્રોલી ચેકિંગ હાથ ધરાશે.
હાઇ-સ્પીડ ટ્રાયલ: ચકાસણી બાદ બંને નવી લાઇનો પર ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ઓબ્ઝર્વેશન કાર સાથે 120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે એન્જિન સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે.
રેલવે તંત્રની જનતાને કડક અપીલ
સ્પીડ ટ્રાયલ દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે માટે રેલવે વહીવટીતંત્રે સ્થાનિક રહેવાસીઓ, ગ્રામજનો અને નાગરિકોને ખાસ વિનંતી કરી છે કે 05 અને 06 ઓગસ્ટ દરમિયાન સામાખિયાળી–ભચાઉ રેલખંડની આસપાસ જવાનું ટાળે, પોતાના પશુઓને ટ્રેક નજીક ન જવા દે અને કોઈપણ સંજોગોમાં રેલવે લાઇન ઓળંગવાનો પ્રયાસ ન કરે.
પ્રોજેક્ટની મુખ્ય સિદ્ધિઓ અને આંકડા
દુર્ગમ અને પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે નિર્માણ પામેલી આ નવી લાઇનની વિશેષતાઓ નીચે મુજબ છે:
| વિગત / કામગીરી | આંકડો / પ્રમાણ |
| કુલ નવી ટ્રેક લંબાઈ | 32.90 ટ્રેક કિમી (ડાઉન: 16.398 કિમી, અપ: 16.502 કિમી) |
| અર્થવર્ક (માટીકામ) | અંદાજે 6.25 લાખ ઘન મીટર |
| બેહતર ટ્રેક મજબૂતી (બ્લેન્કેટિંગ) | 1.27 લાખ ઘન મીટર |
| બેલેસ્ટ (પથ્થર બિછાવવાનું કામ) | 0.96 લાખ ઘન મીટર |
| પુલનું નિર્માણ | 4 મોટા પુલ (Major Bridges) અને 25 નાના પુલ (Minor Bridges) |
| રેલવે ફાટક વિસ્તરણ | 9 લેવલ ક્રોસિંગ ફાટકોનું આધુનિકીકરણ |
કચ્છ, કંડલા અને મુન્દ્રા પોર્ટ માટે કેમ મહત્વનું છે આ ચોહરીકરણ?
સામાખિયાળી-ભચાઉ વિભાગ અમદાવાદ મંડળનો સૌથી વધુ ગ્રોસ મિલિયન ટન (GMT) ટ્રાફિક ધરાવતો રેલવે રૂટ છે. અહીંથી ભુજ, ગાંધીધામ, કંડલા અને મુન્દ્રા બંદરો દ્વારા દેશભરમાં કન્ટેનર, કેમિકલ્સ, પેટ્રોલિયમ, મીઠું, ખાતર અને અનાજ મોકલવામાં આવે છે.
ચોહરીકરણ (4 લાઇન) થવાથી ટ્રેનોનું વિલંબ વગર સંચાલન શક્ય બનશે, માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો નોંધાશે. જેનાથી કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.
