Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 15-11-2025, શનિવાર અને અગિયારશના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી અને શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કરી હતી.

આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં 7 દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફુલની થીમના વાઘા અને સિંહાસને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક વદ અગિયારશને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફુલની ડિઝાઈનવાળા બ્લૂ કલરના વાઘા પહેરાવ્યા છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 100 કિલો સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે હનુમાનજીનું રાજોપચાર પૂજનનું કરવામાં આવશે.
