Fatepura, Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરમેલ ગામે સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત ઘાતકી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક કળિયુગી પુત્રએ પોતાના જ 70 વર્ષીય વૃદ્ધ જનક પિતાની લાકડાના ભારેખમ ફટકા મારીને ઘાતકી હત્યા કરી નાખી છે. પત્ની સાથે થયેલા છૂટાછેડા માટે પોતાના જ માતા-પિતાને જવાબદાર ગણીને ઉશ્કેરાયેલા નરાધમ પુત્રએ પિતાના માથાના પાછળના ભાગે જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સનસનાટીભરી ઘટનાને અંજામ આપીને હત્યારો પુત્ર પોલીસની પકડથી બચવા નાસી છૂટ્યો છે.
દારૂની કુટેવ અને કૌટુંબિક કલેશ બન્યું કારણ
મળતી માહિતી અનુસાર, ફતેપુરા તાલુકાના કરમેલ ગામના નિશાળ ફળિયામાં રહેતા બાબુભાઈ વાલાભાઈ પારગીના લગ્ન આશરે દસ વર્ષ પહેલાં થયા હતા. જોકે, બાબુભાઈને અતિશય દારૂ પીવાની કુટેવ હોવાના કારણે તે અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પત્ની સાથે મારપીટ અને ઝઘડા કરતો હતો. પતિના આ રોજબરોજના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે પાંચ વર્ષ પહેલાં તેની પત્નીએ તમામ સંબંધો તોડીને કાયદેસરના છૂટાછેડા લઈ લીધા હતા.
પત્ની ઘર છોડીને ચાલી ગયા બાદ બાબુભાઈ બહારગામ મજૂરી અર્થે જતો રહ્યો હતો, પરંતુ તે જ્યારે પણ વતનમાં પોતાના ઘરે આવતો ત્યારે દારૂના નશામાં અંધ બનીને પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે ઝઘડો કરતો હતો. 'તમારા કારણે જ મારી પત્ની ઘર છોડીને ગઈ છે' તેવો ખોટો આક્ષેપ કરીને તે વારંવાર વૃદ્ધ માતા-પિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.

માથાના ભાગે લાકડાનો ફટકો મારતા પિતા ઢળી પડ્યા
ગઈકાલે પણ બાબુભાઈએ વતન આવીને આજ જૂની બાબતને લઈને પોતાના પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી ભારે ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન ગુસ્સા પરનો કાબૂ ગુમાવી બેઠેલા બાબુભાઈએ ઘરમાં પડેલું એક જાડું લાકડું ઉઠાવી લીધું હતું અને પોતાના 70 વર્ષીય વૃદ્ધ પિતા વાલાભાઈ રૂપાભાઈ પારગીના માથાના પાછળના ભાગે પૂરા જોશથી મારી દીધું હતું. માથામાં ગંભીર ઈજા થવાના કારણે વૃદ્ધ પિતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.
ઘટનાને પગલે દોડી આવેલા પરિવારજનોએ લોહીના ખાબોચિયામાં ગરકાવ થયેલા પિતાને તાત્કાલિક સારવાર અર્થે ફતેપુરાના સરકારી દવાખાને ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ઈજાઓને કારણે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સગા ભાઈએ જ નોંધાવી પોલીસ ફરિયાદ
આ કરુણ ઘટના બાદ મરણ જનાર વાલાભાઈ પારગીના બીજા 49 વર્ષીય દીકરા કલજીભાઈ વાલાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોતાના સગા ભાઈ વિરુદ્ધ પિતાની હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કરમેલ ગામના નિશાળ ફળિયામાં રહેતા નરાધમ હત્યારા પુત્ર બાબુભાઈ વાલાભાઈ પારગી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પિતાના હત્યારા એવા આ ભાગેડુ પુત્રને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
