Travel and Tourism Fair 2026: ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આજથી પ્રવાસન ક્ષેત્રના મહાકુંભ સમાન ‘ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર’ (TTF) 2026 નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણ દિવસીય ફેરનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉત્તરાખંડ તથા ગોવાના પ્રવાસન મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવાસન ક્ષેત્રે સહભાગીતાનો નવો અધ્યાય
આજે 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ એક્ઝિબિશનમાં દેશના વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગો અને 900થી વધુ એક્ઝિબિટર્સ સહભાગી થયા છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં યોજાતો આ ફેર રાજ્યની ટૂરિઝમ ઈકોસિસ્ટમને વેગ આપવામાં અને B2B (બિઝનેસ ટુ બિઝનેસ) ટ્રાવેલ ટ્રેડ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
2026 નું વર્ષ ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવાશે
રાજ્ય સરકારે વર્ષ 2026 ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સંદર્ભમાં, TTF-2026 ગુજરાતના પ્રવાસન વિકાસની તકોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવામાં એક અસરકારક માધ્યમ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના વિચારને આ આયોજન સાચા અર્થમાં સાકાર કરે છે.
અન્ય રાજ્યોની પણ સક્રિય ભાગીદારી હશે
આ ઉદ્ઘાટન પ્રસંગે ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે અને ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાત લઈને ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને ગોવા સહિતના વિવિધ રાજ્યોના સ્ટોલ્સ નિહાળ્યા અને ત્યાંની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર-2026 માધ્યમથી પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન મળશે અને સેક્ટરના તમામ સ્ટેક હોલ્ડર્સ એકબીજા સાથે જોડાઈ શકશે. આ એક્ઝિબિશન આગામી ત્રણ દિવસ સુધી પ્રવાસન જગતના વ્યાવસાયિકો અને ઉત્સાહીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
