Paresh Goswami Weather Forecast: ગુજરાત રાજ્યના હવામાનમાં ફરી એક વાર મોટા ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આપેલી માહિતી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાન અને પવનની ગતિમાં ફેરફાર સાથે માવઠાની પણ શક્યતા સેવાઇ રહી છે.
પવન અને તાપમાનમાં ઘટાડો
છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાક જેવી વધુ જોવા મળી રહી હતી. સાથે જ તાપમાન 30 ડિગ્રીથી ઉપર રહેતા ઉનાળા જેવો અહેસાસ થતો હતો. જોકે, આગામી 16 ફેબ્રુઆરી, સોમવારથી પવનની ગતિ ઘટીને 10 થી 12 કિમી પ્રતિ કલાક જેવી સામાન્ય થઈ જશે, જેના કારણે ખેડૂતો પિયતનું કામ રાબેતા મુજબ કરી શકશે
વધુમાં, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શક્યતા વ્યક્ત કરી હતી કે, 16 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી એમ ચાર દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ઘણા વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે.
કમોસમી વરસાદ અંગે આગાહી
ફેબ્રુઆરી માસના અંતમાં હવામાનમાં પલટો આવવાની પ્રબળ શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી મુજબ, 20 ફેબ્રુઆરીથી તાપમાન ફરી વધશે અને 22 ફેબ્રુઆરીથી ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: Silver Price in Ahmedabad: ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
ઉત્તર ભારત તરફથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોકલ સિસ્ટમની અસરને કારણે 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન પલટાશે. આ સમયગાળામાં વિવિધ જગ્યાએ માવઠાના ઝાપટા પડવાની શક્યતા છે.
ખેડૂતો જોગ ખાસ સૂચના
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાસ કરીને આગામી 26, 27 અને 28 ફેબ્રુઆરીના રોજ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે આ ત્રણ દિવસોમાં માવઠાની શક્યતા સૌથી વધુ છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત સુધી લંબાય તો અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા કરતા વધુ વરસાદ પણ પડી શકે છે. તૈયાર પાક પર નજર રાખવા માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
