Dr. B.R. Ambedkar Birth Anniversary: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પધાર્યા છે. તેમના આ પ્રવાસની શરૂઆતમાં જ રાજ્ય સરકાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આજે રાષ્ટ્રપતિએ ભારતીય બંધારણના શિલ્પી ડૉ. ભીમરાવ આંબેડકરને વિશેષ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ
આજે 14 એપ્રિલ એટલે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બી.આર. આંબેડકરની જન્મ જયંતિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે ગાંધીનગરના લોકભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે એક ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
President Droupadi Murmu paid floral tributes to Babasaheb Dr B.R. Ambedkar on his birth anniversary at Lok Bhavan, Gandhinagar, Gujarat. pic.twitter.com/y7n7XmFCXo
— President of India (@rashtrapatibhvn) April 14, 2026
અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતાના ત્રણ દિવસીય પ્રવાસ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય અને કેન્દ્રના અન્ય દિગ્ગજ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન રાવ, એર માર્શલ મહેતાબસિંહ દેશવાલ, GOC ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિક અને અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ
પોતાની મુલાકાતના બીજા દિવસે, મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ભારત રત્ન ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
