Jamnagar Municipal Corporation Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-2026ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે જામનગર જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ મતદારોના આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં કુલ 4,42,829 મતદારો નોંધાયેલા છે, જેમના માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારો માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓએ પોતપોતાની કામગીરી વેગવંતી બનાવી દીધી છે.