Mehsana News: કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની મહત્વપૂર્ણ આર્થિક સહાય યોજના PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહેસાણા જિલ્લોમાં લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જમીન સંબંધિત વિસંગતતા, ઈ-કેવાયસી ન કરાવવું અને આધાર સીડિંગ ન હોવા જેવા કારણોસર અનેક ખેડૂતોના નામ યાદીમાંથી કપાયા છે.
જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો
પ્રથમ હપ્તાથી લઈને 22મા હપ્તા સુધીમાં જિલ્લાના કુલ લાભાર્થીઓમાં આશરે 48.79%નો મોટો ઘટાડો થયો છે. શરૂઆતમાં 3,32,569 ખેડૂતોને લાભ મળતો હતો, જે હવે ઘટીને 1,70,273 સુધી આવી ગયો છે. એટલે કે, ચકાસણી પ્રક્રિયા બાદ કુલ 1,62,296 ખેડૂતોના નામ દૂર કાપી નાખવામાં આવ્યા છે.
22માં હપ્તામાં લાખો લાભાર્થીઓ ઘટ્યા
આ સાથે નાણાકીય ફાળવણીમાં પણ ઘટાડો નોંધાયો છે. પ્રથમ હપ્તામાં રૂ.66.49 કરોડ ચૂકવાવામાં આવ્યા હતા, જ્યારે 22મા હપ્તામાં આ રકમ ઘટીને રૂ.34.05 કરોડ રહી છે. ખેડૂતોની સંખ્યા ઘટતાં સરકારે આશરે રૂ.32.43 કરોડની બચત કરી છે. નોંધનીય છે કે, 21મા અને 22મા હપ્તામાં લાભાર્થીઓની સંખ્યા સ્થિર રહી છે, જે દર્શાવે છે કે હવે આ આંકડો સ્થિર થવા લાગ્યો છે. રાષ્ટ્રીય સ્તરે પણ 22મા હપ્તા પહેલાં લાખો લાભાર્થીઓ ઘટ્યા હતા.
ખેડૂતોની સંખ્યા ઘટાડાનાં મુખ્ય કારણો:
- e-KYC: ફરજિયાત પ્રક્રિયા પૂર્ણ ન કરનાર ખેડૂતોના હપ્તા અટકાવવામાં આવ્યા.
- લેન્ડ વેરિફિકેશન: જમીનના રેકોર્ડમાં ગેરસમજ અથવા માલિકી ન હોવાને કારણે નામ દૂર કરવામાં આવ્યા છે.
- આધાર સીડિંગ: બેંક ખાતા સાથે આધાર લિંક ન હોય તેવા ખેડૂતો વંચિત રહ્યા.
- અયોગ્યતા: ઇન્કમટેક્સ ભરતા અથવા અન્ય માપદંડો પૂરા ન કરતા લોકોના નામ કાપવામાં આવ્યા છે.
