Morbi Farmers Protest: ગુજરાત સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને ટ્રાન્સમિશન લાઈન નાખવા અંગે જાહેર કરવામાં આવેલી નવી વળતર નીતિ સામે ખેડૂતોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ નીતિને ખેડૂત વિરોધી અને અન્યાયી ગણાવીને ખેડૂતોએ આજે મોરબીમાં 'આંદોલન પાર્ટ-3' ના ભાગરૂપે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.
કલેક્ટર કચેરી સુધી ખેડૂતોની વિશાળ રેલી
આજે સવારે મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો એકત્રિત થયા હતા. અહીંથી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરતા ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી દરમિયાન ખેડૂતોએ સરકારની નવી નીતિ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ અને નારાજગી વ્યક્ત કરી હતી.

પંચાયતોના લેટરપેડ સાથે આવેદનપત્ર અર્પણ
મોરબી કલેક્ટર કચેરીએ પહોંચીને ખેડૂતોએ વિવિધ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ આવેદનપત્રમાં તેઓએ સ્પષ્ટ માંગ કરી કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો નવો પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને ખેડૂતોની માંગણી મુજબ તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
ખેડૂતોની માંગણી અને નુકસાન અંગે રજૂઆત
વિરોધ કરી રહેલા ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે, તેમના ખેતરોમાં ખાનગી કંપનીઓના વિશાળ વીજપોલ ઊભા કરવાથી તેમની ફળદ્રુપ અને ખેતીલાયક જમીનને ભારે નુકસાન પહોંચે છે. આથી, સરકાર માત્ર કોઈ સામાન્ય વળતર આપીને છૂટી ન શકે, પરંતુ ઉભા પાકને થતા નુકસાન અને બજારમાં જમીનની કિંમતને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું અને યોગ્ય વળતર મળવું જ જોઈએ. ખેડૂતોની આ મક્કમ માંગે તંત્ર પર ભારે દબાણ ઊભું કર્યું છે.
