Ekta Nagar Narmada Cruise Launch: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ ટૂંક સમયમાં જ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પ્રવાસીઓની ભારે માંગને ધ્યાને રાખી નિર્ણય
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી જ 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક ચાલી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના રમણીય દૃશ્યો નિહાળવાનો અનોખો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બન્યો છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ, આધુનિક અને બહુમુખી સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં આવી છે.

'ફ્લોટિંગ વેન્યુ': ડેસ્ટિનેશન પાર્ટી અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે પર્ફેક્ટ
આ નવી ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
વિશેષ ઉજવણીઓ: આ ક્રૂઝ પર જન્મદિવસ, લગ્ન સમારંભ, સંગીત સંધ્યા અને ખાનગી પાર્ટીઓ યોજી શકાશે.
બિઝનેસ ઇવેન્ટ્સ: કોર્પોરેટ મીટિંગ્સ, પ્રોડક્ટ લોન્ચ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ તે શ્રેષ્ઠ સ્થળ બનશે.
આકર્ષક નાઇટ લાઇટિંગ: ક્રૂઝમાં ખાસ ડેકોરેટિવ લાઇટિંગ મુકવામાં આવી છે, જેના કારણે સાંજ અને રાત્રિના સમયે નર્મદા કિનારે ક્રૂઝનો નઝારો અત્યંત નયનરમ્ય લાગશે.


નવી ક્રૂઝ vs વર્તમાન ક્રૂઝ: જુઓ સરખામણી
નવી ક્રૂઝ કદ, ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ હાલની ક્રૂઝ કરતાં નોંધપાત્ર રીતે વધુ આધુનિક અને વિશાળ છે-
| સુવિધા / માપદંડ | નવી ક્રૂઝ | હાલની ક્રૂઝ |
| મુસાફરોની ક્ષમતા | 600 પ્રવાસીઓ | 200 પ્રવાસીઓ |
| ડાઇનિંગ ક્ષમતા | 250 લોકો | 100 લોકો |
| લંબાઈ x પહોળાઈ | 30 મીટર x 12 મીટર | 24 મીટર x 9 મીટર |
| સ્ટેજ સાઈઝ | 5 x 4 મીટર (વિશાળ સ્ટેજ) | 4 x 3 મીટર |
| ખાસિયત | આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ અને મોટા કાર્યક્રમો માટે વિશેષ ડિઝાઇન | સામાન્ય રિવર રાઇડ |
સ્થાનિક પ્રવાસન અને રોજગારીને મળશે નવો વેગ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્ષેત્ર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADT) દ્વારા પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન સાથે હવે પ્રવાસીઓ નર્મદાના નીરમાં આ લક્ઝ્યુરિયસ ક્રૂઝનો આનંદ માણી શકશે. આ નવી સુવિધાથી ગુજરાતના ટુરિઝમ સેક્ટરને નવી ઊંચાઈ મળશે, સાથે જ સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારીની તકોમાં મોટો વધારો થશે.


