Navsari News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે નવસારી જિલ્લાના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેણે ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવી છે. નવસારીમાં આદિવાસી સમાજના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છેકે, આદિવાસી સમાજને અન્યાયની સામે ન્યાય અપાવવા માટે હું સતત લડતો રહીશ અને જો હું જે પક્ષમાં છું એ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવશે તો તેમને પાર્ટ છોડતા જરા પણ વાર નહીં લાગે.
આદિવાસી સમાજના હિતો માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા અનંત પટેલે જણાવ્યું કે, જ્યારે જ્યારે અન્યાય થશે, અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ, તમારો દીકરો તમારી સાથે છે, સાથે રહેશે અને છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે.' તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની.
ધારાસભ્ય અનંત પટેલે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી કે, તેમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. તેમનું એકમાત્ર અને અંતિમ લક્ષ્ય આદિવાસી સમાજની સેવા કરવાનું છે. તેમણે કહ્યું કે, હું આદિવાસી સમાજમાં જ જન્મેલો છું, આદિવાસી સમાજમાં જ રહેલો છું અને મરીશ પણ આદિવાસી સમાજ તથા ગ્રામ્ય વિસ્તારમાં જ. અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે, અને ન્યાય માટે હું આજીવન આદિવાસી સમાજની પડખે ઊભો રહીશ.
ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સમર્થન કરવા બદલ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે તેમના દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક અને રાજ્યકક્ષાએ રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
