Palanpur: ગુજરાત એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગ લોકો માટે ડિજિલોકરમાં દિવ્યાંગ પાસને માન્યતા મળતા પાસ ખોવાની અને નુકસાન થવાની સમસ્યાનો કાયમી અંત આવશે.તેમજ મુસાફરો મોબાઈલમાં જ સરળતાથી ડિજિટલ પાસ બતાવી શકશે.
દિવ્યાંગ પાસ ડિજિલોકરમાં માન્ય
એસટીમાં મુસાફરી કરનારા દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતાની ટકાવારી મુજબ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તરફથી એસટી બસમાં મફત મુસાફરી માટે અપાતા બસ પાસમાં રાહત મળી છે. જેમાં દિવ્યાંગ લોકોના એસટી પાસને ડિજીલોકરમાં ડિજીટલ દિવ્યાંગ પાસને માન્યતા અપાઈ છે.
દિવ્યાંગજનો માટે ખાસ સુવિધા
દિવ્યાંગ વ્યક્તિઓ એસટીમાં મુસાફરી દરમિયાન મોબાઈલમાં ડિજીલોકરમાં બતાવેલા પાસને હાર્ડકોપીની જેમ જ ફરજિયાત માન્ય રાખવામાં આવશે, દિવ્યાંગ બસ પાસ હવે ડિજીલોકરમાં માન્યતા અપાતા પાસ ફાટી જવા કે ખોવાઈ જવાના કિસ્સામાં ડુપ્લીકેટ પાસ જેવી સમસ્યાનો ઉકેલ આવશે.
પાલનપુર વિભાગમાં અમલ શરુ
GSRTCએ લીધેલા નિર્ણયને એસટીના પાલનપુર સહિતના ડિવિઝનોમાં અમલ શરુ કરવામાં આવ્યો છે. ગુજરાત એસટી દ્વારા દિવ્યાંગજનોના પાસને ડિજિલોકરમાં માન્યતાને પગલે દિવ્યાંગોએ એસટી મુસાફરી વખતે પોતાનો પાસ કંડક્ટરને બતાવી શકશે. પાલનપુર એસટીના વિભાગીય નિયામક મુકેશભાઈ રાવલના જણાવ્યા મુજબ, ગુજરાત એસટી વિભાગે દિવ્યાંગ લોકોના દિવ્યાંગ પાસને લઈને ખૂબ જ સારો નિર્ણય લીધો છે.
