Panchmahal: પાવાગઢ ખાતે નવા વર્ષ અને ભાઈબીજ નિમિત્તે લાખો ભક્તો ઉમટ્યા, સવારે ત્રણ વાગ્યાથી માતાજીના દર્શન કરવા લોકોની લાઈન

વહેલી સવારે માતાજીના મંદિરે મંગળા આરતીના ઘંટધ્વનિ વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદ સાથે કરવાની ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 23 Oct 2025 01:13 PM (IST)Updated: Thu 23 Oct 2025 01:13 PM (IST)
panchmahal-lakhs-of-devotees-thronged-pavagadh-for-new-year-and-bhai-bij-mataji-daarshan-625560
HIGHLIGHTS
  • સવારે ત્રણ વાગ્યાથી જ ચાંપાનેરથી માંચી અને નીજમંદિર સુધી ભાવિકોની લાઈનો લાગી ગઈ હતી.
  • મંદિરે પહોંચવા માટે ભક્તોએ લાંબી ચઢાણનો પ્રવાસ શ્રદ્ધાભાવથી પૂર્ણ કર્યો હતો.

Panchmahal News: પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે તેમજ ભાઈબીજના પાવન અવસર પર ભક્તિભાવનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારે માતાજીના મંદિરે મંગળા આરતીના ઘંટધ્વનિ વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદ સાથે કરવાની ધારણા ધરાવતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સવારે ત્રણ વાગ્યાથી જ ચાંપાનેરથી માંચી અને નીજમંદિર સુધી ભાવિકોની લાઈનો લાગી ગઈ હતી. મંદિરે પહોંચવા માટે ભક્તોએ લાંબી ચઢાણનો પ્રવાસ શ્રદ્ધાભાવથી પૂર્ણ કર્યો હતો. મહાકાળી માતાના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવ્યા હતા. વર્ષારંભના શુભ દિવસે માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

પાવાગઢ યાત્રાધામ પર સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. પોલીસે વાહન વ્યવહાર માટે ખાસ રૂટિંગ ગોઠવ્યું હતું અને ટ્રાફિક નિયંત્રણ માટે વધારાના દળો તૈનાત કર્યા હતા. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પો ગોઠવાયા હતા, જ્યારે સફાઈ તંત્ર સતત કામગીરીમાં હતું. આજે ભાઈબીજના પર્વને લઈને પણ ભક્તોમાં ખાસ ભાવના જોવા મળી હતી. બહેનોએ પોતાના ભાઈઓના લાંબા આયુષ્ય માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સમગ્ર પાવાગઢ પરિસર ભક્તિ, શ્રદ્ધા અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

નવા વર્ષની શરૂઆત મહાકાળી માતાના આશીર્વાદ સાથે કરવાની તક મેળવતા ભક્તોએ આનંદ અને આધ્યાત્મિક તૃપ્તિ અનુભવી હતી. ચાંપાનેરના તળિયેથી લઈ મંદિરની ચોટી સુધી જય માતાજીોના નાદથી સમગ્ર પાવાગઢ ધૂનાયમાન બની ગયો હતો.