Panchmahal: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યની મધ્યમાં આવેલુ ધનપુરી ઈકો ટૂરિઝમ સેન્ટર (Dhanpuri Eco-Tourism Center) પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડોદરા, અમદાવાદ અને સુરત જેવા શહેરોની નજીક હોવાથી આ સ્થળ ખૂબ જ વ્યાજબી દરે AC કોટેજ, જંગલ સફારી, ટ્રેકિંગ અને સ્થાનિક ગાઈડ જેવી ઉત્તમ સુવિધા પુરી પાડે છે.
વન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના કારણે ધનપુરી ઈકો ટુરિઝમમાં વીકએન્ડમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે. અહીંની ગાઢ હરિયાળી અને શાંત વાતાવરણ વચ્ચે વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.
કુદરતના ખોળે આરામદાયક સમય વીતાવવા માટેનું લોકપ્રિય સ્થળ
આ અંગે પ્રવાસીએ જણાવ્યું કે, અહીં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કર્યું છે અને આપણને જે સગવડતા મળે છે, તે ખરેખર અદ્દભૂત છે. ઓછામાં ઓછા ખર્ચમાં આટલી સગવડ મળી રહી છે.

જ્યારે ટુરિઝમ મેનેજર મલ્હારભાઈએ જણાવ્યું કે, અહીં પ્રવાસીઓ માટે 8 AC અને 8 નોન-AC રૂમ, કેન્ટીન, ડાઇનિંગ શેડ, સોવેનિયર શોપ અને ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા છે. અત્યંત વ્યાજબી દરે મળતી આ સગવડોની સાથે સ્થાનિક વનવાસી ગાઈડ નજીકમાં આવેલ કડા ડેમ અને હાથણી માતાનું મંદિર જેવા જોવાલાયક સ્થળોનું પ્રવાસીઓને રસપ્રદ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.
આ બાબતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, રતનમહાલના જંગલોની અંદર વાઘ આવી ગયો છે. તેમજ કચ્છમાં ચિત્તા લાવવા માટેની યોજના પર કામ ચાલી રહ્યું છે. જાંબુઘોડાનું જંગલ આકર્ષણનું કેન્દ્ર તો છે, આ સિવાય સરકાર અન્ય અનેક ઈકો ટુરિઝમ સાઈટ ડેવલોપ કરી રહી છે.
રાજ્ય સરકાર જાંબુગોડા ઉપરાંત રતન મહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં પણ ઇકો ટુરિઝમનો વ્યાપ વધારી રહી છે નજીકમાં જ આવેલા કડા ડેમ અને પૌરાણિક ચંડ હનુમાન મંદિર જેવા આકર્ષણોને કારણે ધનપુરી હવે ગુજરાતનું એક અગ્રણી વીકેન્ડ ડેસ્ટિનેશન બની ગયું છે
