Panch Mahatirth Darshan Train: ભારતીય રેલવે અને IRCTC દ્વારા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અને 'દેખો અપના દેશ' અભિયાન અંતર્ગત ધાર્મિક પ્રવાસીઓ માટે એક શાનદાર તક લાવવામાં આવી છે. આગામી 29 ઓગસ્ટ 2026 થી રાજકોટથી 'પંચ મહાતીર્થ દર્શન યાત્રા' માટેની સ્પેશિયલ ટ્રેન પ્રસ્થાન કરશે.
13 દિવસનો ધાર્મિક પ્રવાસ અને મુખ્ય આકર્ષણો
આ યાત્રા કુલ 12 રાત્રિ અને 13 દિવસની રહેશે, જે 10 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂર્ણ થશે. આ પ્રવાસ દરમિયાન શ્રદ્ધાળુઓને ભારતના પાંચ મહત્વના તીર્થધામોના દર્શનનો લહાવો મળશે:
- પુરી (જગન્નાથ મંદિર)
- કામાખ્યા મંદિર
- ગયા
- વારાણસી (કાશી)
- અયોધ્યા (રામ મંદિર)
માત્ર 850 રૂપિયાના હપ્તે બુકિંગની સુવિધા
સામાન્ય નાગરિકો માટે આ યાત્રા આર્થિક રીતે સરળ રહે તે માટે IRCTC દ્વારા દર મહિને માત્ર રૂ. 850 ના સરળ હપ્તા (EMI) નો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સુવિધા ફક્ત ઓનલાઈન બુકિંગ કરાવનાર યાત્રિકો માટે જ ઉપલબ્ધ રહેશે.

પંચ મહાતીર્થ યાત્રા ટ્રેનનું ભાડું અને કેટેગરી
સરકારી કર્મચારીઓ આ યાત્રા માટે LTC સુવિધાનો લાભ લઈ શકશે. યાત્રિકો પોતાની સુવિધા મુજબ અલગ-અલગ ક્લાસમાં બુકિંગ કરાવી શકે છે:
- ઈકોનોમી ક્લાસ (સ્લીપર): રૂ. 24,200
- સ્ટાન્ડર્ડ ક્લાસ (3AC): રૂ. 40,100
- સ્ટાન્ડર્ડ ક્લાસ (2AC): રૂ. 49,500
પંચ મહાતીર્થ યાત્રા પેકેજમાં મળતી સુવિધાઓ
આ ટૂર પેકેજમાં યાત્રિકોને ઘણી સુવિધા ફ્રી આપવામાં આવશે:
- ટ્રેનમાં સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન.
- તીર્થ સ્થળોએ જોવા-લાયક સ્થળો માટે બસની સુવિધા.
- હોટલમાં રહેવાની વ્યવસ્થા, ગાઈડ અને વીમો.
- સુરક્ષા માટે દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને પ્રાઈવેટ ગાર્ડની તૈનાતી.
સ્પેશિયલ ટ્રેનમાં ક્યાંથી બેસી શકાશે?
ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે વિવિધ સ્ટેશનથી ટ્રેનમાં બેસવાની સવલત આપવામાં આવી છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (સેન્ટ્રલ જેલ સાઈડ), નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા અને દાહોદ જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રતલામ, ઉજ્જૈન અને સંતહિરૂદારામનગરથી પણ પ્રવાસીઓ જોડાઈ શકશે.
ધાર્મિક પ્રવાસ કરવા ઈચ્છતા લોકો માટે આ એક સુવર્ણ તક છે, જેના માટે એડવાન્સ બુકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મુસાફરો ઓનલાઈન બુકિંગ માટે વેબસાઈટ www.irctctourism.com અથવા અમદાવાદ કાર્યાલય અને IRCTC સુવિધા કેન્દ્ર વડોદરા રેલવે સ્ટેશન બુકિંગ કરાવી શકાય છે.
