Amarnath Yatra 2026: પવિત્ર અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે જરૂરી હેલ્થ સર્ટિફિકેટ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
નવી સિવિલ હોસ્પિટલમાં વૉલિબૉલ ગ્રાઉન્ડની સામે આવેલ BOB નજીક આવેલ જૂની મેડિકલ કૉલેજ બિલ્ડિંગમાં સવારે સાડા 9 થી બપોરે દોઢ વાગ્યા દરમિયાન મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે. યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુથી કેસ બારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ECGની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો
અમરનાથજી યાત્રાએ જનારા યાત્રાળુએ 4 પાસપોર્ટ સાઇઝ ફોટા, ID પ્રૂફ (આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, પાન કાર્ડ પૈકી કોઇપણ એક) અસલ તથા ઝેરોક્ષ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટીફિકેટ ફોર્મ (બે નકલમાં) સાથે રૂબરૂમાં આવવાનું રહેશે.
સરકારના પ્રવર્તમાન પરિપત્ર/ગાઇડલાઇન અનુસાર 13 વર્ષથી નીચેના અને 70 વર્ષ ઉપરનાં વ્યક્તિઓ, ત્રણ અઠવાડિયા કે તેથી ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં નહીં આવે, તેમ વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
