vadodara: ટિકિટ માટે પાંચ વર્ષ ઉઘાડા પગે ફરવાની બાધા આખરે ફળી, કોકિલાબેન પવારનો સંકલ્પ વિજયી થયો

વડોદરાના ભાજપના ઉમેદવાર કોકિલાબેન પવારે જ્યાં સુધી ટિકીટ ન મળે ત્યાં સુધી પગરખા ન પહેરવાની આકરી પ્રતિજ્ઞા કરી હતી. જ્યારે પક્ષે તેમની વફાદારી,નિષ્ઠાને ધ્યાને લઈને ટિકીટ આપી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 17 Apr 2026 01:12 PM (IST)Updated: Fri 17 Apr 2026 01:12 PM (IST)
vadodara-news-bjp-kokilaben-pawar-barefoot-vow-ticket-success-2026-729634

vadodara News: રાજકારણમાં સત્તા અને પદ માટે અનેક પ્રકારના દાવપેચ જોવા મળતા હોય છે. પરંતુ જ્યારે રાજકીય આકાંક્ષા અતૂટ શ્રદ્ધા અને આકરી તપસ્યા સાથે જોડાય છે. ત્યારે તે એક પ્રેરણાદાયી ગાથા બની જાય છે. વડોદરાના કોકિલાબેન પવાર આનું જીવંત ઉદાહરણ છે. જેમણે પક્ષની ટિકિટ માટે લીધેલી પાંચ વર્ષની કઠિન બાધા આજે સફળતાના શિખરે પહોંચી છે.

તપતી ધરા અને અડગ ઈરાદો

આ સંકલ્પની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટની માંગણી કર્યા બાદ સફળતા ન મળતા, કોકિલાબેને એક આકરો નિર્ણય લીધો હતો, "જ્યાં સુધી પક્ષ ટિકિટ નહીં આપે, ત્યાં સુધી પગમાં પગરખાં ધારણ નહીં કરું." એક મહિલા કાર્યકર માટે જાહેર જીવનમાં ઉઘાડા પગે ફરવું એ શારીરિક અને સામાજિક રીતે અત્યંત કપરું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તપતા રસ્તા હોય કે ચોમાસાનો કાદવ, કોકિલાબેને ક્યારેય પોતાના પગમાં ચપ્પલ પહેર્યા નહીં. તેમની આ મક્કમતા વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.

નિયતિની કસોટી અને પારિવારિક સ્નેહ

સતત 5 વર્ષના ઉઘાડા પગના પ્રવાસ બાદ, 2020માં નિયતિએ તેમની કસોટી કરી હતી. એક સામાજિક પ્રસંગમાં પગમાં કાચ વાગવાથી ઊંડો ઘા પડ્યો અને ભારે રક્તસ્ત્રાવ થયો હતો. શારીરિક પીડા અસહ્ય બનતા પરિવારે આગ્રહ કરીને સ્વાસ્થ્યના હિતમાં તેમને બાધા છોડવા વિનંતી કરી હતી. સ્વજનોના સ્નેહને વશ થઈ તેમણે પગરખાં પહેર્યા, પણ હૃદયમાં પક્ષ પ્રત્યેની વફાદારી અકબંધ રહી હતી.

ધીરજના ફળ મીઠાં: 2026માં મળ્યું ફળ

કહેવાય છે કે, મહેનત ક્યારેય એળે જતી નથી. વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપના મોવડી મંડળે કોકિલાબેનના ધૈર્ય, નિઃસ્વાર્થ સેવા અને દ્રઢ નિશ્ચયની નોંધ લીધી હતી. ઉમેદવારોની યાદીમાં જ્યારે તેમનું નામ આવ્યું, ત્યારે જાણે વર્ષોની તેમની તપસ્યા સફળ થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.

કોકિલાબેન પવાર જણાવ્યું હતું કે, "આ માત્ર ટિકિટ મેળવવાની જીદ નહોતી, પણ મારા પક્ષ અને વિચારધારા પ્રત્યેની મારી અતૂટ શ્રદ્ધાનું પ્રતીક હતું."

વડોદરાના રાજકારણ માટે અનોખું ઉદાહરણ

કોકિલાબેનનો આ કિસ્સો સાબિત કરે છે કે, રાજકારણમાં માત્ર ગણિત નહીં, પણ અતૂટ શ્રદ્ધા અને અવિરત પરિશ્રમ પણ ભાગ્યના દ્વાર ખોલી શકે છે. આજે તેઓ ઉત્સાહભેર પ્રચાર કાર્યમાં જોતરાયા છે, જે વડોદરાના રાજકારણ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.