Veraval News: રાજકોટનો 13 વર્ષનો તરૂણ પાડોશી સાથે સોમનાથ દર્શન કરવા ગયો હતો જયાથી પરત ફરતી વેળાએ ટ્રેનમાં ચડવા જતા પટકાયો હતો. જેને બંન્ને પગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું. જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક ભીમરાવનગર શેરી નં.1માં રહેતો મોહિત નિલેશભાઇ બથવાર (ઉ.વ.13)નામનો તરૂણ ગત તા.14ના પાડોશી સાથે સોમનાથ દર્શન કરવા ગયો હતો.
જયાથી પરત ફરતી વેળાએ વેરાવળ રેલવે સ્ટશેન પર ટ્રેનમાં ચડવા જતા પગ લપસતા નીચે પટકાયો હતો. જેમાં તેને બંન્ને પગે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ વેરાવળ બાદ જૂનાગઢ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહી તેનુ ટૂકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું.
આ અંગે યુનિ.પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક મોહિત બે ભાઇમાં મોટો અને ધો.5માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કારખાનામાં કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
