Mahashivratri 2026: આજે મહાશિવરાત્રીએ દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી રહ્યાં છે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે મહાશિવરાત્રીના રોજ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો તમે સોમનાથ જઇ ન શક્યા હોય તો અહીંથી તમે સોમનાથના લાઇવ દર્શન કરી શકો છે.
મારુતિ બીચ પર ભવ્ય 'મહાપાર્થિવેશ્વર પૂજન'નું આયોજન
સોમનાથમાં મહાશિવરાત્રી 2026ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય 'મહાપાર્થિવેશ્વર પૂજન'નું આયોજન કરવામાં આવ્યું છે. આજે 15 ફેબ્રુઆરી 2026ના રોજ આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સમુદ્ર કિનારે એકત્રિત થઈ સામૂહિક શિવ આરાધના કરશે.સોમનાથ મંદિરના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે આવેલા પ્રોમેનેડ વોક-વે સ્થિત મારુતિ બીચ પર આ કાર્યક્રમ યોજાશે. આયોજકો દ્વારા પૂજા વિધિ માટે દિવસ દરમિયાન ચાર અલગ-અલગ સમય નક્કી કરવામાં આવ્યા છે જેથી મહત્તમ ભક્તો લાભ લઈ શકે. સવારના સત્રો 8 થી 9.30 અને 10 થી 11.30 કલાકના રહેશે, જ્યારે બપોર બાદના સત્રો 3 થી 4.30 અને સાંજે 5 થી 6.30 વાગ્યા સુધી ચાલશે.
11 ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો રહેશે તૈનાત
આજે સોમનાથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. જેમાં 11 ડીવાયએસપી,50થી વધુ પીઆઇ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), તેમજ 500થી વધુ પોલીસ કર્મચારીઓ, GRD અને SRP જવાનો તૈનાત રહેશે. સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તાર પર 70થી વધુ CCTV કેમેરા, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડૉગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
4 લાખથી વધુ શિવભક્તો દર્શનાર્થે આવશે
મહાશિવરાત્રી નિમિત્તે અંદાજે 4 થી 5 લાખ ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે આવશે તેવી સંભાવના છે. શ્રદ્ધાળુઓને સુગમતાથી દર્શન થઈ શકે તે માટે મંદિરના દ્વાર સતત 42 કલાક સુધી ખુલ્લા રહેશે. 15 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે 4 વાગ્યે ખુલ્યા બાદ, મંદિર બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરી, 2026ની મોડી રાત સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. ભક્તોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને 6 પ્રવેશદ્વારનો ઉપયોગ કરાશે. જેમાં 3 પુરુષો અને 3 મહિલાઓ માટેના પ્રવેશદ્વાર હશે.
