અરવિંદ કેજરીવાલનું Instagram એકાઉન્ટ પ્રતિબંધિત? મેટા પર નિશાન સાધતા કહ્યું- 'પીએમ મોદી સમક્ષ એટલા પણ ન ઝૂકો'

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ ભારતમાં બ્લોક. મેટા પર પ્રહાર કરતાં કહ્યું- 'પીએમ મોદી સમક્ષ ન ઝૂકો'. જાણો E20 પેટ્રોલ વિવાદ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 06 Aug 2026 11:30 AM (IST)Updated: Thu, 06 Aug 2026 11:30 AM (IST)
arvind-kejriwal-reacts-after-instagram-restricts-account-targets-meta

Arvind Kejriwal Instagram Account Restriction: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે ભારતમાં તેમનું ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ ઘટના અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મેટા (Meta) ની ટીકા કરી છે.

અરવિંદ કેજરીવાલે Meta ને પૂછ્યા પ્રશ્ન

અરવિંદ કેજરીવાલે X પર પોતાના બ્લોક થયેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. તેમણે મેટાને સવાલ કરતાં લખ્યું કે, 'હેલો મેટા, તમે મારું એકાઉન્ટ કેમ પ્રતિબંધિત કર્યું? ભારત કાર્યાલયમાં પૂછપરછથી જાણવા મળ્યું કે મારું એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત છે અને ઉપલબ્ધ નથી, પરંતુ તેનું કોઈ કારણ આપવામાં આવી રહ્યું નથી.'

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે નિયમિત ઇમેઇલ સ્વીકૃતિ સિવાય કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી અને પ્રતિબંધ હટાવવા અંગે પણ કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. કેજરીવાલે કટાક્ષ કરતાં લખ્યું કે, 'આપણા વડાપ્રધાન સમક્ષ આટલું ન ઝૂકો, નહીં તો તેઓ ભારતમાં ફક્ત પોતાનું જ એકાઉન્ટ ચલાવવા દેશે.'

કેજરીવાલનું E20 પેટ્રોલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ

અગાઉ બુધવારે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) પર દબાણ લાવીને E20 ઇંધણ અંગેની એક રિપોર્ટ પાછી ખેંચાવવાનો પ્રયાસ કર્યો છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે 28 જુલાઈએ SIAM દ્વારા સોંપાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે E20 ઇંધણમાં ક્લોરાઇડ અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાહનોને નુકસાન થઈ શકે છે. જોકે, આ ગંભીર આક્ષેપો પર SIAM કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

પીએમ નિવાસ તરફ વિરોધ માર્ચ કાઢી

તાજેતરમાં અરવિંદ કેજરીવાલે લગભગ 100 સમર્થકો અને કાર્યકરો સાથે E20 પેટ્રોલના વિરોધમાં વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ વિરોધ માર્ચ કાઢી હતી. જોકે, દિલ્હી પોલીસે તેમને ફિરોઝશાહ માર્ગ પર જ અટકાવી દીધા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે E20 ઇંધણના અમલનો વિરોધ ચાલુ રહેશે અને જાહેર જનતાને પણ આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી.