Mohan Bhagwat Statement: દેશમાં યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર વિરોધ કે આંદોલન કરવાથી નવી પેઢી એટલે કે Gen-Z દેશ-વિરોધી બની જતી નથી.
યુવાનોના એક વૈશ્વિક કાર્યક્રમમાં સંબોધન કરતા મોહન ભાગવતે ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે- જો Gen-Z વિરોધ નોંધાવી રહી છે, તો તેમની ચિંતાઓ અને પ્રશ્નો પ્રત્યે સરકારે અને સમાજે ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ. તેઓ કોઈ અન્ય નથી, તેઓ આપણા પોતાના જ લોકો છે અને દેશની આવનારી પેઢી છે.
નવી પેઢી વધુ પ્રામાણિક અને તાર્કિક
મોહન ભાગવતે આજની પેઢીની પ્રશંસા કરતા કહ્યું કે- મારા મતે Gen Z અને Gen Alpha આપણી જૂની પેઢી કરતાં વધુ પ્રામાણિક છે. તેમની સામે જો દેશભક્તિ અને સેવાભાવની સાચી અપીલ કરવામાં આવે તો તેની ઊંડી અસર થાય છે. અમારા જમાનામાં અમે વડીલોની વાતોને સવાલ કર્યા વગર માની લેતા હતા, પરંતુ આજનો યુવાન તાર્કિક જવાબો, પ્રેમ અને લોકશાહી ઢબની ચર્ચા માંગે છે. આપણી પરંપરામાં જેને શાસ્ત્રાર્થ કહેવાય છે, તે જ આજે સંવાદ છે.
શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર અને લોકશાહીમાં આંદોલનનું મહત્વ
દેશની વર્તમાન શિક્ષણ પ્રણાલી પર વાત કરતા RSS પ્રમુખે સ્વીકાર્યું હતું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં હજુ ઘણા સુધારા કરવાની જરૂર છે અને તે યોગ્ય રીતે ન થવાને કારણે જ યુવાનો આજે અવાજ ઉઠાવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે- લોકશાહીમાં વિરોધ એ માત્ર અસંમતિ નથી, પણ આમસહમતી (Consensus) બનાવવાનો એક રસ્તો છે. જો સંવાદથી વાત ન બને તો આંદોલન કરવું વાજબી છે, પરંતુ આંદોલન સમાજને તોડવા માટે નહીં પણ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે હોવું જોઈએ. ડૉ. બાબા સાહેબ આંબેડકરે પણ સંવિધાન સભાના ભાષણોમાં લોકશાહી ઢબે વિરોધ કરવાના માર્ગો દર્શાવ્યા હતા.
ભાગવતે દેશના વહીવટીતંત્ર અને સમાજને સલાહ આપતા અંતમાં કહ્યું કે, યુવાનો કોઈપણ કારણ વગર અવાજ નથી ઉઠાવતા, તેમને પડી રહેલી વ્યવહારુ તકલીફોને ઉકેલવી એ આપણી સૌની જવાબદારી છે.
