Vande Mataram Lok Sabha Discussion: રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં એક વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રના છઠ્ઠા દિવસે, 8 ડિસેમ્બર, 2025ના રોજ આ ચર્ચાની શરૂઆત લોકસભામાં પીએમ મોદીના સંબોધનથી થઈ હતી. વંદે માતરમ પરની ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જે મંત્ર અને જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા અને પ્રેરણા આપી, તથા ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો, તે 'વંદે માતરમ્'નું સ્મરણ કરવું એ આ ગૃહમાં સૌનું મોટું સૌભાગ્ય છે.
પીએમ મોદીએ ઉમેર્યું કે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આપણે બધા આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની રહ્યા છીએ, જે ગર્વની વાત છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વંદે માતરમનું સામાન્ય જનતા સાથેનું જોડાણ આપણા સ્વતંત્રતા સંગ્રામની એક લાંબી ગાથાની અભિવ્યક્તિ બની જાય છે. તેમણે સવાલ કર્યો કે શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે આઝાદીની લડતની સંપૂર્ણ યાત્રા વંદે માતરમની ભાવનાઓમાંથી પસાર થતી હતી? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવું ભાવ-કાવ્ય કદાચ દુનિયામાં ક્યાંય ઉપલબ્ધ નહીં હોય.
વંદે માતરમ નારાએ બંગાળની એકતા માટે પ્રેરણા આપી
પીએમ મોદીએ 'ભાગલા પાડો અને રાજ કરો'ની અંગ્રેજોની નીતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંગાળને તેની પ્રયોગશાળા બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે અંગ્રેજોએ 1905માં બંગાળનું વિભાજન કર્યું, ત્યારે વંદે માતરમ્ એક ચટ્ટાનની જેમ અડગ રહ્યું. આ નારો અંગ્રેજો માટે એક પડકાર અને દેશ માટે શક્તિનો આધાર બનતો ગયો. તેમણે કહ્યું કે આ નારાએ બંગાળની એકતા માટે પ્રેરણા આપી.
Speaking in the Lok Sabha. https://t.co/qYnac5iCTB
— Narendra Modi (@narendramodi) December 8, 2025
પીએમ મોદીએ વંદે માતરમની 150 વર્ષની યાત્રા દરમિયાન આવેલા મુશ્કેલ સમયને યાદ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે આ ગીતના 50 વર્ષ થયા, ત્યારે દેશ ગુલામીમાં જીવવા માટે મજબૂર હતો. વધુમાં જ્યારે વંદે માતરમના 100 વર્ષ થયા, ત્યારે દેશ ઈમરજન્સીની સાંકળોમાં જકડાયેલો હતો. તેમણે આ સમયગાળાને ઇતિહાસનો એક કાળો કાલખંડ ગણાવ્યો, જ્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવાયું હતું અને દેશભક્તોને જેલની સળિયા પાછળ ધકેલી દેવાયા હતા.
ભાજપ નેતાઓએ નેહરુ અને વિપક્ષ પર નિશાન સાધ્યું
પીએમ મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરતા પૂર્વે જ એવો ઉલ્લેખ કર્યો હતો કે જિન્નાએ વંદે માતરમનો વિરોધ કર્યો, અને નેહરુ સહમત થઈ ગયા. આ ઉપરાંત ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે પંડિત નહેરુ આ ગીતની વિરુદ્ધ હતા અને તેમણે તુષ્ટિકરણને પ્રાથમિકતા આપતા, આ ગીત વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે તેમાં સાંપ્રદાયિક રંગ છે. ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે પણ ટિપ્પણી કરી કે કેટલાક લોકો વંદે માતરમમાં વિશ્વાસ નથી રાખતા, પરંતુ બાબર મસ્જિદમાં વિશ્વાસ રાખે છે.
