Sonam Wangchuk Statement: NEET પેપર લીકની ઘટનાના વિરોધમાં જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રધાનમંત્રી અને સરકાર વિરુદ્ધ અયોગ્ય ભાષાના ઉપયોગ અંગેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વાયરલ વીડિયો અંગેની ભાષા પર જ્યારે જાણીતા પર્યાવરણવિદ અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ પ્રકારની ભાષા પ્રત્યે વાંધો વ્યક્ત કર્યો હતો, પરંતુ સાથે જ સરકારને પણ આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી.
એક ઈન્ટરવ્યુ દરમિયાન વાતચીત કરતા સોનમ વાંગચુકને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ પ્રદર્શનકારીઓને લઈને જે વિવાદ ઉભો થયો છે તેના પર તેમનું શું કહેવું છે. તેના જવાબમાં વાંગચુક બોલ્યા- હું કોઈપણ સંજોગોમાં ગાળાગાળી કે અયોગ્ય ભાષાનો સ્વીકાર કરતો નથી અને તેને સમર્થન આપતો નથી. પરંતુ સરકારે એ વાત સમજવી પડશે કે આ વીડિયો દેશના યુવાનોમાં ફેલાયેલી ભારે હતાશાનો સંકેત આપે છે.
'જો હું પ્રધાનમંત્રી હોત તો...'
પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતા સોનમ વાંગચુકે ઉમેર્યું હતું કે- જો હું પ્રધાનમંત્રીના પદ પર હોત, તો સૌથી પહેલાં મારી જાતને પૂછત કે મારી નીતિઓમાં કે વ્યવસ્થામાં એવી કઈ ખામી રહી ગઈ છે જેનાથી દેશના યુવાનોમાં આટલો મોટો આક્રોશ ઊભો થયો. આ પ્રદર્શનકારીઓ કોઈ પ્રોફેશનલ આંદોલનકારીઓ કે અસામાજિક તત્વો નથી, પરંતુ અલગ-અલગ અભ્યાસક્રમોમાં ભણતા દેશના ભવિષ્ય સમાન યુવાનો છે જેઓ આજે નિરાશ થયા છે.
સંદેશ સાંભળો, સંદેશવાહકને લક્ષ્ય ન બનાવો
વાંગચુકે પરિસ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડતા કહ્યું કે- પરિસ્થિતિ કેટલી નાજુક બની ગઈ છે આ તેનો પુરાવો છે. મારી હંમેશાંથી એક જ વાત રહી છે – સંદેશ સાંભળો, સંદેશ પહોંચાડનારને ન મારો. વાત-વાતમાં FIR દાખલ કરવી કે કાર્યવાહી કરવી એ બહુ નિમ્ન સ્તરનો પ્રતિસાદ છે.
તેમણે આગળ કહ્યું કે- સરકારે પોતાની અંદર જોવાની જરૂર છે, આત્મનિરીક્ષણ કરીને સિસ્ટમ સુધારવાની જરૂર છે જેથી કોઈ પણ યુવાન આટલી હદે હતાશ ન થાય કે તેણે આવી ભાષાનો ઉપયોગ કરવો પડે. એક શ્રેષ્ઠ નેતા હંમેશાં આ દિશામાં વિચારે છે.
જોકે, તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે આંદોલનની અંદર ઘૂસીને માહોલ બગાડતા અસામાજિક તત્વો, હિસ્ટ્રીશીટર્સ કે કાવતરાખોરો સામે સરકારે કડકમાં કડક પગલાં લેવા જ જોઈએ. પરંતુ માત્ર ભાષાના મુદ્દાને આગળ ધરીને સમગ્ર આંદોલન કે સામાન્ય વિદ્યાર્થીઓનો અવાજ દબાવી ન દેવો જોઈએ.
