Ghanshyam Maharaj Patotsav: સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ઘનશ્યામ મહારાજ 82 મો પાટોત્સવ વિવિધ ગ્રંથોની પારાયણ સહ વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ઉજવાયો.
મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ ત્રિદિવસીય કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગાદીના આધ્ય આચાર્યપ્રવર કતજીવન સ્વામીબાપાએ ત્યાગીની ગાદીની પરંપરા સ્થાપીને મંદિરને 82 વર્ષ થતાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને પંચામૃત અભિષેક, આરતી, અન્નકૂટ, મહાપૂજા વિગેરે કરવામાં આવ્યા હતા.

સ્વામિનારાયણ ભગવાનની દિવ્યવાણી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાની વાતોની પારાયણ વિગેરે આધ્યાત્મિક સભર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
પંચમ વારસદાર પ્રેમમૂર્તિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને ગાદી સોંપણી દિનની ઉજવણી કરતાં પાદપ્રક્ષાલન, પૂજન, અર્ચન, આરતી પણ કરાઈ હતી. જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશિર્વાદનો લાભ ટેપ દ્વારા મળ્યો હતો.
આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજે આશિર્વાદ આપતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયે વ્યસનોના વળગાડ સહિતના અનેક દુષણો સમાજના માનવીને કોરી ખાય છે માટે તેનાથી સદંતર દૂર રહેવું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જણાવ્યાનુસાર વ્યસન, વહેમ અને વેર એ ત્રણે દુષણ મનુષ્યના જીવનને બરબાદ કરી દે છે, સાથે પરિવારનો પણ નાશ થાય છે માટે તેનાથી દૂર રહી સ્નેહ, સંપ, ભાતૃભાવ પરિવારમાં કેળવાય તેવું જીવન જીવવા હાકલ કરી હતી.દેશ વિદેશના હરિભક્તોના વિશાળ સમુહ ઉપસ્થિત રહી મહોત્સવનો લાભ લીધો હતો.
