Panchgrahi Yog 2026: ફેબ્રુઆરી મહિનાનું અંતિમ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે, ત્યારે ગ્રહ ગોચરની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ખાસ રહ્યો છે. ખાસ કરીને શનિની રાશિ કુંભમાં આ મહિને એક પછી એક 4 ગ્રહો એકઠા થઈ ગયા છે. હવે 23 ફેબ્રુઆરી એટલે કે સોમવારે વધુ એક ગ્રહ મંગળ પણ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ કુંભ રાશિમાં પંચગ્રહી યોગનું નિર્માણ થશે. જે 3 રાશિના જાતકો માટે અત્યંત કષ્ટદાયક રહેશે.
3 ફેબ્રુઆરીથી વારાફરતી કુંભ રાશિમાં ગ્રહોનું ગોચર
હકીકતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ શનિની રાશિ કુંભમાં ગ્રહોનું ગોચર શરૂ થઈ ગયું હતુ. જે અંતર્ગત સૌ પ્રથમ 3 ફેબ્રુઆરીએ બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ્યો હતો.
જે બાદ 6 ફેબ્રુઆરીએ શુક્ર અને 13 ફેબ્રુઆરીએ સૂર્ય ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે 23 ફેબ્રુઆરીએ ગ્રહોના સેનાપતિ મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે છાયા ગ્રહ રાહુ છેલ્લા એક વર્ષથી કુંભ રાશિમાં બિરાજમાન છે.
આમ એક પછી એક પાંચ ગ્રહો કુંભ રાશિમાં આવીને પંચગ્રહી યોગ બનાવી રહ્યા છે, જેનો સ્વાી શનિ છે. આ શનિ ઉગ્ર ગ્રહ છે, જેમાં રાહુ, મંગળ અને સૂર્ય જેવા અન્ય ઉગ્ર ગ્રહોનું આગમન સાથે જ બુધ અને શુક્ર જેવા ધનના કારક ગ્રહો સાથે તેમનું મિલન એક વિશેષ સ્થિતિ સર્જી રહી છે. જેની અસર આમ તો મોટાભાગે તમામ રાશિના જાતકો પર પડશે. જો કે 3 રાશિના જાતકોને પંચગ્રહી યોગ નકારાત્મક ફળ આપી શકે છે, જેની અસર 15 દિવસ સુધી રહેશે. એટલે આ ત્રણ રાશિના જાતકોએ 15 દિવસ સુધી ચેતીને ચાલવામાં જ સમજદારી સમજવી.
કર્ક (Cancer Rashifal)
આ રાશિના જાતકો માટે પંચગ્રહી યોગ મુશ્કેલી લઈને આવશે. જાતકોને 15 દિવસ સુધી માનસિક તણાવ રહેશે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. મનને વિચલિત કરનારી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ઉતાવળે કોઈ પણ નિર્ણય ના લેવો હિતમાં રહેશે. નોકરિયાતનો કામકાજના સ્થળે સાધારણ તકલીફ રહેશે.
મકર (Capricorn Rashifal)
આ રાશિના જાતકોએ પંદર દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. આવકની સરખામણીમાં અચાનક અણધાર્યા ખર્ચા વધી જતા બજેટ ડામાડોળ થઈ શકે છે. અંગત સમસ્યાનું નિરાકરણ ન થતા બેચેની વધશે. વડીલો સાથે વૈચારિક મતભેદો વધી શકે છે.
કુંભ (Aquarius Rashifal)
પાંચ ગ્રહોથી બનતો પંચગ્રહી યોગ કુંભ રાશિમાં જ બની રહ્યો છે, જે પૈકી સૂર્ય, મંગળ અને રાહુ ઉગ્ર ગ્રહ ગણાય છે. આથી આ રાશિના જાતકોને ખાસ ચેતીને ચાલવા જેવો સમય છે. જાતકોને લક્ષ્ય પ્રાપ્તિ માટે વધારે મહેનત કરવી પડશે. પરિવારમાં તણાવ અને વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. પ્રેમમાં નિષ્ફળતા આપને હતાશ ના કરે તેનું ધ્યાન રાખજો.
પંચગ્રહોની અશુભ અસરથી કેવી રીતે બચી શકાય? Panchgrahi Yog Remedies
જો કુંભ રાશિમાં મંગળના પ્રવેશ સાથે તમારી તકલીફો એકાએક વધવા લાગે, તો કેટલાક ખાસ ઉપાયો તમને જરૂર મદદ કરી શકે છે. આ માટે મંગળવારે હનુમાનજીની વિધિ-વિધાન સાથે પૂજા કરો. હનુમાન ચાલિસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેમજ શનિવારે શનિ દેવને કાળા તલ અને તેલ ચડાવવું તેમજ સરસિયાના તેલનો દીવો કરવો જોઈએ.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
