Ashish Nehra Video, LSG vs GT IPL 2026: IPL 2026ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવીને આ સીઝનમાં સતત બીજી જીત મેળવી છે. આ રોમાંચક મેચ દરમિયાન ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મેદાનની બહાર અત્યંત ગુસ્સામાં જોવા મળ્યા હતા. જોનારને તો પહેલી નજરમાં એવું લાગે કે નહેરાજીને આ શું થઈ ગયું છે? આશિષ નેહરા આવું કેમ કરી રહ્યા છે?
શા માટે આશિષ નેહરા ગુસ્સે થયા?
આશિષ નેહરા મેદાનની બહાર સામાન્ય રીતે શાંત સ્વભાવના ગણાય છે, પરંતુ મેચ દરમિયાન, ખાસ કરીને જ્યારે તેમની ટીમ ફિલ્ડિંગ કે બોલિંગ કરતી હોય ત્યારે તેઓ ડગઆઉટમાં સુપર એક્ટિવ જોવા મળે છે. આશિષ નેહરા મેચ દરમિયાન એક મિનિટ પણ શાંત ન હોય, જાણે એવું લાગે કે તેમના દિમાગમાં અનેક પ્લાન એક સાથે ચાલી રહ્યા હોય અને તે દરેક બોલે મેચને પલટાવી નાખવા માગતા હોય. આ ઘટના ત્યારે બની જ્યારે ગુજરાતની ટીમ બોલિંગ કરી રહી હતી. કેપ્ટન શુભમન ગિલના કોઈ નિર્ણયથી નેહરા ખુશ ન હતા અને તેઓ બોલિંગમાં તાત્કાલિક ફેરફાર કરવા માંગતા હતા.
નેહરા ઈચ્છતા હતા કે છેલ્લી ઓવર અશોક શર્મા પાસે નંબાવવામાં આવે. આ સંદેશ ગિલ સુધી વહેલી તકે પહોંચાડવા માટે નેહરાએ ડગઆઉટમાં બહાર બેઠેલા એક ખેલાડીને ગુસ્સામાં ધક્કો મારીને મેદાન પર મોકલ્યો હતો. નેહરાનો આ અંદાજ ભલે થોડો આક્રમક હતો, પરંતુ તેનો ફાયદો ટીમ માટે ગેમ-ચેન્જર સાબિત થયો હતો.
આ પણ વાંચો
કામ કરી ગયો નેહરાનો માસ્ટરપ્લાન
આશિષ નેહરાએ જે પ્લાન બનાવ્યો હતો તે સચોટ સાબિત થયો. અશોક શર્માએ બોલિંગમાં આવતા જ પોતાની પહેલી જ આઈપીએલ મેચ રમી રહેલા લખનૌના બેટ્સમેન જ્યોર્જ લિન્ડેને આગામી જ બોલ પર આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. નેહરાના આ ગુસ્સાવાળા સંદેશને કારણે ગુજરાતને નિર્ણાયક સમયે સફળતા મળી હતી.
Nehra Ji ka message aaye aur wicket na jaaye... aise ho sakta hai kya? 🫣
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
Did you manage to decode what Nehra Ji was trying to say? 🤔#IPLRivalryWeek 2026 ➡️ #LSGvGT | LIVE NOW 👉 https://t.co/0HrC1UNn6k | #TATAIPL pic.twitter.com/QcDozgDI39
જીતની લયમાં પરત ફરી ગુજરાત ટાઇટન્સ
સીઝનની શરૂઆત હાર સાથે કર્યા બાદ શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ હવે જીતની પટરી પર પરત ફરી છે. લખનૌ સામેની જીતમાં બેટિંગમાં કેપ્ટન શુભમન ગિલે 40 બોલમાં 56 રન અને જોસ બટલરે 37 બોલમાં 60 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.
બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ તરખાટ મચાવતા માત્ર 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે પ્રસિદ્ધ કૃષ્ણા અત્યારે 4 મેચમાં 10 વિકેટ મેળવીને પર્પલ કેપના માલિક બની ગયા છે. બેક-ટુ-બેક બે હાર બાદ ગુજરાત ટાઇટન્સે આ વિજય સાથે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.
