Sunil Gavaskar Statement: ઇંગ્લેન્ડની ક્રિકેટ લીગ 'દ હન્ડ્રેડ' (The Hundred) માં ભારતીય માલિકીની ફ્રેન્ચાઇઝી દ્વારા પાકિસ્તાની ખેલાડીને ખરીદવાનો મામલો હવે ગરમાયો છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે આ મામલે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. તેમણે સન ગ્રુપની માલિકીની ફ્રેન્ચાઇઝી 'સનરાઇઝર્સ લીડ્સ' અને તેની સહ-માલિક કાવ્યા મારન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાની ખેલાડીઓને આપવામાં આવતા પૈસા પરોક્ષ રીતે ભારતીયોના મૃત્યુમાં યોગદાન આપવા બરાબર છે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં ઇંગ્લેન્ડની લીગ 'દ હન્ડ્રેડ' માટે થયેલી હરાજીમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને 1,90,000 પાઉન્ડ (આશરે 2.3 કરોડ ભારતીય રૂપિયા) માં ખરીદ્યો છે. આટલું જ નહીં, ટીમના કોચ ડેનિયલ વેટોરીએ સંકેત આપ્યો હતો કે પાકિસ્તાનનો અન્ય એક સ્પિનર ઉસ્માન તારિક પણ તેમના રડાર પર હતો. ભારતીય કંપની દ્વારા પાકિસ્તાની ખેલાડી પર આટલી મોટી રકમ ખર્ચવાના નિર્ણયનો સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના બહિષ્કારની માંગ પણ ઉઠી છે.
સુનીલ ગાવસ્કરનો તર્ક: ફી એટલે હથિયારો માટેનું ભંડોળ
સુનીલ ગાવસ્કરે મિડ-ડે માટેના તેમના કોલમમાં આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, "પાકિસ્તાની ક્રિકેટરોને આપવામાં આવતી ફી ભારતીય સૈનિકો અને સામાન્ય નાગરિકોના મોતનું કારણ બને છે." ગાવસ્કરના મતે, પાકિસ્તાની ખેલાડીઓ તેમને મળતા પૈસા પર તેમની સરકારને ઇન્કમ ટેક્સ ચૂકવે છે. પાકિસ્તાન સરકાર તે ટેક્સના પૈસાનો ઉપયોગ હથિયારો અને દારૂગોળો ખરીદવા માટે કરે છે, જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓમાં થાય છે.
ઇતિહાસ અને આતંકી હુમલાઓનો ઉલ્લેખ
ગાવસ્કરે નવેમ્બર 2008 ના મુંબઈ હુમલા, 2019 ના પુલવામા હુમલા અને ગયા વર્ષે પહેલગામમાં પ્રવાસીઓની થયેલી હત્યાઓનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધોની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે આ જ કારણોસર આઈપીએલ (IPL) માં 2008 ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને ભારતીય સંસ્થાઓએ પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓને બોલાવવાનું બંધ કરી દીધું હતું.
માલિકની સમજણ પર સવાલ
ગાવસ્કરે સનરાઇઝર્સ લીડ્સના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ન્યુઝીલેન્ડના કોચ ડેનિયલ વેટોરી કદાચ ભારત-પાક વચ્ચેના સંવેદનશીલ ઇતિહાસને ન સમજી શકે, પરંતુ ભારતીય માલિકોને તો આ સ્થિતિની સમજ હોવી જોઈએ. તેમણે પ્રશ્ન કર્યો કે, "શું કોઈ એવા ફોર્મેટમાં ટુર્નામેન્ટ જીતવી, જેને કોઈ બીજો દેશ નથી રમતો, તે ભારતીય લોકોના જીવ કરતા વધુ મહત્વની છે?"
બીસીસીઆઈના અગાઉના કડક વલણનું ઉદાહરણ
આ વિવાદ વચ્ચે અગાઉના એવા કિસ્સા પણ યાદ કરવામાં આવ્યા છે જેમાં બીસીસીઆઈ (BCCI) એ કડક નિર્ણય લીધા હોય. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં બીસીસીઆઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને રીલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગાવસ્કરે ભારપૂર્વક કહ્યું કે જ્યારે માલિક ભારતીય હોય, ત્યારે સંસ્થા ભારતીય હોય કે તેની વિદેશી પેટાકંપની, તેની ક્રિયાઓથી દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ ન પહોંચવી જોઈએ.
