PM Vidya Lakshmi Yojana 2026: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 'PM વિદ્યા લક્ષ્મી' પોર્ટલે તેના લોન્ચિંગના પ્રથમ વર્ષમાં જ દેશના હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલી દીધા છે. પોર્ટલના માધ્યમથી અત્યાર સુધીમાં 3.31 લાખથી વધુ વિદ્યાર્થીઓની શિક્ષણ લોન મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત કોર્સના પ્રથમ વર્ષ માટે 7,229.4 કરોડ રૂપિયાની રકમ સીધી ચૂકવવામાં આવી છે.
અરજીઓ અને મંજૂરીનો આંકડો
24 ફેબ્રુઆરી સુધીના ડેટા અનુસાર, પોર્ટલ પર કુલ 6,51,974 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 3,31,089 લોન મંજૂર કરવામાં આવી છે. આ સાથે પોર્ટલનો લોન મંજૂરીનો સરેરાશ દર આશરે 50.8 ટકા રહ્યો છે. સરકારે સમગ્ર કોર્સના સમયગાળા માટે કુલ 35,939.69 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે.
પોર્ટલનો હેતુ અને ખાસિયતો
PM વિદ્યા લક્ષ્મી પોર્ટલ 25 ફેબ્રુઆરી 2025 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 2 પેજનું સરળ અરજી ફોર્મ રાખવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ એજ્યુકેશન લોન મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો અને તેમાં પારદર્શિતા લાવવાનો છે. આ યોજના (PM-Vidyalaxmi) ની જાહેરાત કેન્દ્રીય બજેટ 2024 માં કરવામાં આવી હતી અને 6 નવેમ્બર 2024 ના રોજ ઉચ્ચ શિક્ષણ વિભાગ (DHE) અને નાણાકીય સેવા વિભાગ (DFS) ના સહયોગથી તેને વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ માટે મળતા મુખ્ય ફાયદા:
- કોલેટરલ-ફ્રી લોન: આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મિલકત ગીરવે રાખ્યા વગર કે ગેરંટર વગર લોન મળે છે.
- ગુણવત્તાયુક્ત સંસ્થાઓ: નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) માં ટોચનું સ્થાન ધરાવતી શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (QHEIs) માં પ્રવેશ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ આ લોન મેળવી શકે છે.
- વ્યાજ સહાય (Interest Subvention): જે પરિવારોની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા સુધીની છે, તેમને 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા વ્યાજ સહાયનો લાભ મળે છે. આ લાભનો ટાર્ગેટ ખાસ કરીને તે 1 લાખ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો છે જેઓ અન્ય કોઈ સરકારી યોજનામાં આવરી લેવામાં આવ્યા નથી.
બેંકોનું નેટવર્ક અને ઝડપી પ્રક્રિયા
વિદ્યાર્થીઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે આ પ્લેટફોર્મ સાથે મોટી સંખ્યામાં બેંકોને જોડવામાં આવી છે. જેમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો, 20 ખાનગી બેંકો, 24 પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને 16 સહકારી બેંકોનો સમાવેશ થાય છે. સરકારી પ્રયાસોને કારણે લોન મંજૂર કરવાનો સરેરાશ સમય (Turnaround Time) ઘટીને હવે 8 દિવસથી પણ ઓછો થઈ ગયો છે.
શિક્ષણ મંત્રાલય અને નાણાકીય સેવા વિભાગ, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથે મળીને અરજીઓની પ્રગતિ અને લોનની વહેંચણીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વધુમાં, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ ભાષાઓમાં આઉટરીચ પ્રોગ્રામ પણ ચલાવવામાં આવી રહ્યા છે.
