કરમસદ-આણંદ મનપાના આરોગ્ય વિભાગનો સપાટોઃ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતી પાંચ રેસ્ટોરન્ટને રૂ. 85 હજારનો દંડ ફટકાર્યો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્વચ્છતા અભિયાન હેઠળ ગુજરાત ચોક વિસ્તારમાં પાંચ રેસ્ટોરન્ટને કુલ ₹85,000નો દંડ ફટકાર્યો. આ કાર્યવાહી સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન અને અસ્વચ્છ વાતાવરણ જાળવવા બદલ કરવામાં આવી છે, ભવિષ્યમાં વધુ કડક પગલાંની ચેતવણી અપાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Jun 2026 05:44 PM (IST)Updated: Sun, 21 Jun 2026 05:44 PM (IST)
anand-karamsad-restaurants-fined-rs-85k-for-hygiene-violations

Anand: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે હેતુસર મહાનગરપાલિકાના કમિશનરશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત શહેરના ગુજરાત ચોક વિસ્તારમાં આવેલી વિવિધ ખાણી-પીણીની હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક નામાંકિત હોટલોમાં સ્વચ્છતાનો અભાવ અને આરોગ્યપ્રદ વાતાવરણની ઉણપ જણાતા તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરીને કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. 

આરોગ્ય વિભાગની આ કાર્યવાહી દરમિયાન પાંચ જેટલા મુખ્ય ખાદ્ય એકમો સામે દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં બોમ્બે રેસ્ટોરન્ટ અને ઇન્ડિયા ફ્રાય સેન્ટર સામે ગંભીર બેદરકારી બદલ પ્રત્યેકને રૂ. 20,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અલનુર બિરીયાની સેન્ટર, રોયલ ફ્રાય સેન્ટર અને બિસ્મિલ્લાહ તવા ફ્રાય સેન્ટર ખાતે પણ સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું માલૂમ પડતા આ ત્રણેય એકમો પાસેથી પ્રત્યેક રૂ. 15,000 લેખે દંડની વસૂલાત કરવામાં આવી છે. આમ, એક જ દિવસની તપાસમાં પાંચ એકમો પાસેથી કુલ રૂ. 85,000નો દંડ વસૂલી મનપા તંત્રએ કડક સંદેશ આપ્યો છે.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડો. રાજેશ પટેલના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન આ તમામ એકમોમાં સ્વચ્છતાના નિર્ધારિત માપદંડો જળવાતા ન હોવાનું સામે આવ્યું હતું. ખાદ્ય પદાર્થોની જાળવણી અને રસોઈમાં વપરાતી સામગ્રીની સ્વચ્છતા અંગેની ગંભીર ક્ષતિઓ જોવા મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

naidunia_image

 

શહેરના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને સ્વચ્છતા ના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ખાદ્ય વ્યવસાયકારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વચ્છતા જાળવવા અને આરોગ્યના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે. જો ભવિષ્યમાં કોઈપણ એકમ દ્વારા આવી બેદરકારી કે સ્વચ્છતામાં ક્ષતિ રાખવામાં આવશે, તો મહાનગરપાલિકા દ્વારા દુકાન /એકમ/ રેસ્ટોરન્ટની સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ તાકીદ કરવામાં આવી છે.