Anand News: આજરોજ બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યુના પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલ દ્વારા વ્યક્તિગત રીતે મલેરિયા પોઝિટિવ દર્દીના ઘરે જઈ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દર્દી તેમજ તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ સાધીને સારવાર અંગે પૂછપરછ કરી હતી અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ફોગિંગ અને પોરાનાશક કામગીરી હાથ ધરાઈ
ઉલ્લેખનીય છે કે, મલેરિયા પોઝિટિવ જણાતા આ દર્દી અમદાવાદથી પોતાના પિયરમાં સારવાર અર્થે આવ્યા હતા, જેની ગંભીરતાને ધ્યાને રાખી બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર અને દેખરેખની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ડૉ. રાજેશ પટેલે આસપાસના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને નિવારણ માટે ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની પ્રક્રિયા, પોરાનાશક, ફોગિંગ તેમજ અન્ય વેક્ટર નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી.
ઘેર ઘેર જઈને મચ્છરોથી બચવા જાગૃત કરાયા
વધુમાં, બાકરોલની દિવ્ય કમલ સોસાયટીમાં પણ રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં સુરતથી અભ્યાસ અર્થે આવેલ એક વિદ્યાર્થીમાં તાવના લક્ષણો જણાતા તેની તબીબી તપાસ કરાવવામાં આવી હતી, જેમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું માલૂમ પડ્યું હતું.

આ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં તાવના કેસોનું સર્વેક્ષણ, ફોગિંગ અને આરોગ્ય શિક્ષણ આપવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને મચ્છરોથી બચવા અને સફાઈ જાળવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
