Paresh Goswami Ni Agahi: ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાંથી આવી રહેલા એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં શિયાળાની સિઝનમાં નાટ્યાત્મક ફેરફાર જોવા મળ્યા છે. આ વર્ષે શિયાળો લાંબો ચાલ્યો છે અને શીત લહેરના રાઉન્ડ પર ખૂબ જ ટૂંકા આવ્યા છે. એટલે કે જોઈએ તેવી ઠંડી જામી નથી.
હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે અને રાતના સમયે સહેજ ઠંડીનો ચમકારો રહે છે, જ્યારે બાકીનો આખો દિવસ ગરમીનો અહેસાસ જોવા મળે છે. આ વર્ષે શિયાળામાં પણ કમોસમી વરસાદના રાઉન્ડ આવ્યા છે, જેના કારણે ખેડૂતોને પાક નુકસાની થતાં સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
એવામાં ખેડૂતો આ વર્ષે ચોમાસું કેવું રહેશે? તેને લઈને ચિંતિત છે, તો જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કસ કાતરાના આધારે ચોમાસાનું પુર્વાનુમાન કર્યું છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ચોમાસાને લઈને હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દેશી વિજ્ઞાન પ્રમાણે કારતક મહિનાની એકમ એટલે કે હિન્દુઓના નવા વર્ષથી લઈને ફાગણી પૂનમ હોળીના દિવસ સુધી જે કસકાતરા થતા હોય છે. તેના આધારે એક અનુમાન લગાડવામાં આવતું હોય છે. આ પુર્વાનુમાન પરથી કહી શકાય કે, 2026નું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે.
ટૂંક સમયમાં ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીનો પર્વ આવી રહ્યો છે. આ હોળીનો પવન ચોમાસાનો સંકેત આપશે. હાલ અંતિમ ચરણમાં કસ કાતરાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. અત્યારે છૂટાછવાયા કોઈ-કોઈ ભાગમાં કસ થવાના ચાલું છે, જે હોળી સુધી રહેશે. જે સંકેત આપે છે કે, 2026ના ચોમાસામાં સારો વરસાદ થશે.
