અમરેલીમાં મેઘતાંડવ: વડીયામાં 10 ઇંચ વરસાદ, પૂરમાં તણાતા 2ના મોત, ઠેબી-ધાતરવડી ડેમ ઓવરફ્લો

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વડીયામાં 10 ઇંચ વરસાદ નોંધાયો. પૂરના પાણીમાં તણાતા 2 લોકોના મોત થયા. ઠેબી અને ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં દરવાજા ખોલવામાં આવ્યા, જ્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને ખેડૂતોને ભારે નુકસાન થયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 25 Jul 2026 09:46 AM (IST)Updated: Sat, 25 Jul 2026 09:46 AM (IST)
amreli-heavy-rain-vadiya-10-inch-rain-flood-two-deaths-thebi-dam-dhatarwadi-dam-overflow

Amreli Heavy Rain: અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અનરાધાર વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વડીયા તાલુકામાં બારે મેઘ ખાંગા થતાં 10 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. જેના કારણે ખેતરો જળમગ્ન બની જવા પામ્યા છે. પૂરના ભયાનક પાણીમાં તણાવાને લીધે અલગ અલગ ઘટનાઓમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે.

અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડૃ્યો (24 કલાકનાં આંકડા)

હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં અતિભારે વરસાદ પડ્યો છે.

  • વડીયા: 10 ઇંચ
  • બગસરા: 6.5 ઇંચ
  • અમરેલી અને લીલીયા: 5-5 ઇંચ
  • બાબરા અને લાઠી: 3.5 ઇંય
  • ધારી અને સાવરકુંડલા: 2 ઇંચ
  • ખાંભા: 1.5 ઇંચ
  • રાજુલા: 1.25 ઇંચ

લાઠી અને લીલીયા પંથકમાં પૂરમાં તણાતા 2 લોકોના મોત

ભારે વરસાદને લીધે અમરેલી પંથકમાં નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. લાઠી તાલુકામાં બે જુદી જુદી ઘટનામાં બે વ્યક્તિનું તણાઈ જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે બીજી તરફ લીલીયાના કૃષ્ણનગર ગામે વાડી વિસ્તારમાં કામ કરતા મધ્યપ્રદેશના 26 વર્ષીય યુવક મિલસાનું પણ પૂરના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નિપજ્યુ છે. મો઼ડેથી યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

ઠેબી અને ધાતરવડી ડેમ છલકાતા દરવાજા ખોલાયા

અમરેલી શહેરની જીવાદોરી ગણાતી ઠેબી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ આવક થતાં ડેમ છલકાઈ જવા પામ્યો હતો, પરિસ્થિતિે નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા બપોરના સમયે ઠેબી ડેમના બે દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને પ્રતિ સેકન્ડ 570 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ સિવાય રાજુલાનો ધાતરવડી ડેમ પણ ઓવરફ્લો થયો છે.

ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન

બગસરાના લાપાળીયા, માંડવડા, ગોખરવાળા ગામોમાં ખેતરો અને વાડીઓમાં પાણી ઘૂસી ગયા હતા. નેશલ હાઇવેના કામકાજ દરમિયાન પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોની ફળદ્રુપ માટી અને ઊભા પાકનું ભારે ધોવાણ થયુ્ છે. લીલીયા પંથકી શેત્રુંજી, શેલ અને ગગડીયો નદીઓમાં બે કાંઠે પૂર આવતા કાંક્રચ નદીના ખેતરો જળમગ્ન થયા છે. આ સિવાય સિંહો સહિતના વન્યજીવોનું આ વિસ્તાર ઘર હોવાથી પૂરના પાણીના કારણે વન્યજીવોને પણ સુરક્ષિત સ્થળે સ્થળે સ્થળાતર ફરજ પડી છે.