ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને વાસણા બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદી બે કાંઠે વહેતી થતાં ખંભાત અને તારાપુર તાલુકાના અનેક નીચાણવાળા વિસ્તારો, ખેતરો અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વધતા જળસ્તરને પગલે સર્જાયેલી સ્થિતિ પર સ્થાનિક તંત્ર દ્વારા ચોવીસેય કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સાબરમતીના ધસમસતા પ્રવાહને કારણે ખંભાત અને તારાપુર તાલુકાના કુલ 13 જેટલા ગામોને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર, મામલતદાર અને વહીવટી અધિકારીઓ જાતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સંભવિત પૂરના જોખમને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
નદીના પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળતાં તારાપુર તાલુકાના પંચાયત હસ્તકના ચાર મહત્વપૂર્ણ માર્ગો તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. જેમાં તારાપુર–રાજવાપુરા રોડ, મિલરામપુરા–ખડા રોડ, મિલરામપુરા–મોટા કલોદરા રોડ અને મિલરામપુરા–કાનાવાડા રોડનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઈપણ પ્રકારની અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવી છે.
તંત્રે વાહનચાલકો અને સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરી છે. નાગરિકોની સુવિધા અર્થે તારાપુર–રાજવાપુરા હયાત રોડ તેમજ મિલરામપુરા–દુગારી રોડને વૈકલ્પિક માર્ગ તરીકે ખુલ્લા રાખવામાં આવ્યા છે.
વહીવટી તંત્રે સ્થાનિક લોકોને ખાસ અપીલ કરી છે કે પાણી વહેતું હોય તેવા બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનું સાહસ ન કરવું અને માત્ર સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો. વહીવટી અધિકારીઓના જણાવ્યા મુજબ, જો નદીમાં પાણીની આવક ઘટશે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે, તો આગામી 28 જુલાઈ સુધીમાં હાલ બંધ કરાયેલા માર્ગો ફરીથી વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
