BJP Candidate List: કરમસદ-આણંદ મનપાની પ્રથમ ચૂંટણી માટે ભાજપનું માસ્ટર પ્લાનિંગ, 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર

આ ચૂંટણીમાં ભાજપ દ્વારા 4 મુસ્લિમ ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 10 Apr 2026 10:14 PM (IST)Updated: Fri 10 Apr 2026 10:14 PM (IST)
karamsad-anand-municipal-election-2026-bjp-52-candidates-announced-for-first-ever-karamsad-anand-civic-polls-725780
HIGHLIGHTS
  • વોર્ડ 3માં કાશ્મીરાબેન વોહરા અને વોર્ડ 4માં ફરીનબાનું પઠાણ મેદાનમાં

BJP Candidate List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. લાંબી પ્રતીક્ષા અને પ્રદેશ નેતાગીરીના ઝીણવટભર્યા મંથન બાદ ભારતીય જનતા પાર્ટીએ આણંદ અને કરમસદને જોડીને બનાવાયેલી નવી મહાનગરપાલિકા માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય ગલિયારાઓમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામ જાહેર

કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ઐતિહાસિક ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપે પોતાના ગઢને અકબંધ રાખવા માટે તમામ 13 વોર્ડમાં કુલ 52 ઉમેદવારોની ફોજ મેદાનમાં ઉતારી છે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર ફટાકડા ફોડી વિજયના વિશ્વાસ સાથે જીતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ: 4 મુસ્લિમ ઉમેદવારોને સ્થાન

આ વખતે ભાજપે ટિકિટ ફાળવણીમાં સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો હોય તેમ જણાય છે. પક્ષ દ્વારા આ ચૂંટણીમાં 4 મુસ્લિમ ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર-3: કાશ્મીરાબેન ફિરોઝભાઈ વહોરા અને ઈમરાનભાઈ અનવરભાઈ વહોરાને ટિકિટ અપાઈ છે.

⁠વોર્ડ નંબર-4: ફરીનબાનુ શાહરૂખખાન પઠાણ અને અલ્તાફ અનવરભાઈ વહોરા મેદાનમાં ઉતરશે.

અંતિમ ઘડીએ ઉમેદવારોમાં દોડધામ
આવતીકાલે એટલે કે 11 એપ્રિલ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપે યાદી જાહેર કરવામાં જે વ્યૂહાત્મક વિલંબ કર્યો હતો, તેના કારણે હવે ઉમેદવારો પાસે જરૂરી દસ્તાવેજો અને શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે.

પ્રદેશ ભાજપ નેતાગીરીએ આ યાદી તૈયાર કરવામાં સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિગત પાસાઓનું ખાસ ધ્યાન રાખ્યું છે. હવે જોવાનું એ રહેશે કે 'ચરોતરના હૃદય' સમાન આ નવી મહાનગરપાલિકામાં મતદારો કોના પર મહોર મારે છે.