Train Coach Derail:આણંદ રેલવે સ્ટેશન નજીક આજે એક મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ હતી. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 તરફ જઈ રહેલી એક માલગાડીનો ડબ્બો અચાનક પાટા પરથી નીચે ઉતરી ગયો હતો. આ ઘટનાને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે મોટું નુકસાન થયાના અહેવાલ નથી.
ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પશ્ચિમ રેલવેના પીઆરઓ અનુપમ સક્સેનાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે મુખ્ય રેલ યાતાયાત પર કોઈ જ પ્રભાવ પડ્યો નથી અને ટ્રેનોની અવરજવર રાબેતા મુજબ ચાલુ છે.
-1785770515121.jpg)
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) રાજુ ભડકે પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અધિકારીઓની હાજરીમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાને દૂર કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે ખાસ ક્રેનને ઘટનાસ્થળે લાવવા માટે રસ્તો તૈયાર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, જરૂર જણાય તો ડબ્બાને કાપીને કે હટાવીને ટ્રેકને વહેલી તકે પૂર્વવત કરવાના પ્રયાસો રેલવે ઇજનેરો અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
-1785770535253.jpg)
રેલવે વિભાગના કુશળ અને ઝડપી આયોજનના કારણે ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેનાથી મોટી હોનારત ટળી ગઈ હતી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
