Bharuch: આમોદ નગરમાં રખડતા શ્વાનોના વધતા આતંકને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રખડતા કૂતરાઓએ બાળકો, યુવકો અને વૃદ્ધો સહિત કુલ દસથી વધુ લોકોને બચકા ભરતાં નગરજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક જ કલાકમાં સાત જેટલા લોકો પર હુમલા થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આમોદના વિવિધ વિસ્તારોમાં રમી રહેલા ચાર માસૂમ બાળકો પર અચાનક રખડતા કૂતરાઓ તૂટી પડ્યા હતા. બાળકોને પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાંથી એક બાળકની હાલત ગંભીર બનતા પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પણ કૂતરાઓનો ત્રાસ અટક્યો ન હતો.
રાજકોટ શહેર ભાજપનું નવું માળખું જાહેરઃ પ્રમુખ તરીકે ડૉ. માધવ દવે યથાવત, 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રીઓ અને 8 મંત્રીઓની વરણી
આજે સવારે ભરબજારમાં લગ્ન પ્રસંગમાં જતાં તેમજ દૈનિક કામકાજ માટે નીકળેલા નગરજનો પર પણ કૂતરાઓએ હુમલા કર્યા હતા. એક જ કલાકમાં સાત લોકોને બચકા ભરાતા તમામ ઇજાગ્રસ્તોને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડવું પડ્યું હતું, જ્યાં તેમને એન્ટી-રેબીસ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. સતત ઘટતી ઘટનાઓને કારણે વાલીઓ અને નગરજનોમાં ભારે ભય ફેલાયો છે.
આ પણ વાંચો
ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા અને તાત્કાલિક પગલાં લેવાની ઉગ્ર માંગ કરી રજૂઆતો બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને શ્વાન પકડનાર ટીમ દ્વારા નગરમાંથી કુલ 11 રખડતા શ્વાનોને કેદ કરવામાં આવ્યા. પાલિકાના જણાવ્યા મુજબ, પકડાયેલા શ્વાનોમાંથી બેમાં હડકવાના લક્ષણો જોવા મળતા તેમને અલગ રાખવામાં આવ્યા છે.
મુખ્ય અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે દરબાર રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં શ્વાનોને ખવડાવતા લોકો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવા અને શ્વાન પકડવાની કામગીરી શરૂ કરવા છતાં નગરજનોમાં હજુ પણ અસુરક્ષાની ભાવના યથાવત છે.
નગરજનોની માંગ છે કે, રખડતા કૂતરાઓને નિયમિત રીતે પકડી તેમનું રસીકરણ કરવામાં આવે તેમજ સ્થાયી ઉકેલ લાવવામાં આવે, જેથી ફરીથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ ઘટનાએ આમોદ નગરમાં લોકોના દૈનિક જીવનમાં ભયની લાગણી ઊભી કરી દીધી છે.
