Bharuch: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પડ્યું ગાબડું, અંકલેશ્વર નજીક બ્રિજનો સ્લેબ તૂટ્યો; એક્સપાન્શન જોઈન્ટને પણ નુકસાન

અંકલેશ્વર નજીક આવેલા પીલુદરા ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 02 Jul 2026 02:22 PM (IST)Updated: Thu, 02 Jul 2026 02:22 PM (IST)
delhi-mumbai-expressway-bridge-slab-collapse-near-ankleshwar-bharuch-news

Bharuch News: દેશના સૌથી મહત્વાકાંક્ષી અને અત્યાધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની સુરક્ષા અને બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા પીલુદરા ગામ પાસે હાઈવે પર અચાનક બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

બ્રિજમાં 8 ફૂટ જેટલું વિશાળ ગાબડું

વરસાદી માહોલ વચ્ચે અડોલ અને પીલુદરા ગામની વચ્ચે આવેલા આ હાઈવે બ્રિજમાં અચાનક 7 થી 8 ફૂટનું મોટું ગાબડું પડી ગયું હતું. ઘટનાની ગંભીરતા એ વાત પરથી જાણી શકાય છે કે, કોન્ક્રીટનો સ્લેબ ધસી પડતા અંદર ગોઠવવામાં આવેલા લોખંડના સળિયા પણ સ્પષ્ટપણે બહાર દેખાઈ રહ્યા છે.

આ ઉપરાંત, પ્રાથમિક નિરીક્ષણમાં બ્રિજના એક્સપાન્શન જોઈન્ટને પણ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, જે પુલની આંતરિક મજબૂતી અને સુરક્ષા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

naidunia_image

ટ્રાફિક જામ સર્જાયો, લોકોમાં ભારે રોષ

આ આકસ્મિક દુર્ઘટનાને પગલે સુરતથી વડોદરા તરફ જતી મુખ્ય લેન પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તા પર વાહનોની માઈલો લાંબી કતારો લાગી જતા મુસાફરો અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. જેના પગલે લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.

આટલા મોટા ખર્ચે નિર્મિત એક્સપ્રેસ-વે પર આટલા ટૂંકા ગાળામાં જ ગાબડું પડતા સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો આ ઘટના પાછળ માર્ગ નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને અનિયમિતતા હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ રોડની નબળી કામગીરીને લઈને વ્યાપક ચર્ચા અને ટીકા થઈ રહી છે.

તંત્રની કામગીરી અને ભવિષ્યની તપાસ

આ સમગ્ર મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા તેમણે હાલ કોઈ સ્પષ્ટ કારણ આપવાનું ટાળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, NHAI ની ઉચ્ચ ટેકનીકલ ટીમ ટૂંક સમયમાં સ્થળની મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરશે. હાલમાં સુરક્ષાના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો અને વરસાદ બંધ થયા બાદ યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવશે. આ ઘટનાએ લાખોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટના મેન્ટેનન્સ અને ક્વોલિટી કંટ્રોલ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે.