UpdatedIST

Bhavnagar: નાનીમાળમાં 12 જ્યોતિર્લિંગ સહિત મંદિરોનો જીર્ણોદ્વાર સમારોહ, સોલંકી બંધુઓ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સાથે હળવા મૂડમાં જોવા મળ્યા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 14 Feb 2026 05:34 PM (IST)Updated: Sat 14 Feb 2026 05:34 PM (IST)
bhavnagar-news-deputy-cm-harsh-sanghvi-attends-12-jyotirling-temple-renovation-ceremony-in-palitana-691991
HIGHLIGHTS
  • કૈલાશધામ મંદિર નાનીમાળ ગામના દરેક લોકોનું આસ્થાનું કેન્દ્ર

Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામમાં કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પાવન પ્રસંગે 12 જયોર્તિલિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી બંધુઓ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પાલિતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામલોકોએ 12 જયોર્તિલિંગના દર્શન કરવા માટે દૂર જવાની જરૂર નથી. 12 જયોર્તિલિંગના દર્શન કરવાનો લ્હાવો ગામમાં જ મળી રહે છે.

નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

પાલીતાણાની તળેટીમાં આવેલું નાનીમાળ ગામ વિવિધ સમાજના લોકો એકતા અને સૌહાર્દથી રહેતું ગામ છે. આશ્રમ પરિસરમાં કુલ 17 મંદિરો આવેલ છે. આ મંદિરો આશરે 25 વર્ષ પહેલા નિર્માણ પામ્યા હતા. સમયાંતરે મંદિરો જર્જરિત થઈ જતા, તેમના જીર્ણોદ્ધાર (નવનિર્માણ)નો વિચાર 3 વર્ષ પૂર્વે મુકેશભાઈ મનજીભાઈ પટેલ દ્વારા મૂકવામાં આવ્યો હતો. આશ્રમમાં 12 શિવાલયોના જીર્ણોદ્ધાર સાથે અન્ય દેવસ્થાનોનું પણ પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.

આ મંદિરોમાં સ્થાપિત દેવતાઓ શ્રી સોમનાથ મહાદેવ, શ્રી મલ્લિકાર્જુન મહાદેવ, શ્રી મહાકાલ મહાદેવ, શ્રી ઓમકારેશ્વર મહાદેવના પૂજા અર્ચના અને દર્શન કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધન્યતા અનુભવી હતી તેમજ આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આશ્રમના સ્થાપક ગુરુ શ્રી વિજયગીરી બાપુએ નાનીમાળ ગામનું નામ સાર્થક થાય તે માટે નાના મંદિરોની “માળ” રચવાની કલ્પના વ્યક્ત કરી હતી, જે કાર્ય આજે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. કૈલાશધામ મંદિર નાનીમાળ ગામના દરેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે.

આશ્રમમાં આજુબાજુના 30 કિલોમીટર વિસ્તારમાંથી ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરવા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર આશરે 20,000 થી વધુ ભક્તો દર્શન માટે આવે છે. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ ભાઈ સોલંકીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.