Dwarka Dandvat Yatra: 76 વર્ષના ભક્તની રાજસ્થાનથી નીકળેલી 700 કિમીની દંડવત યાત્રા દ્વારકા પહોંચી

રાજસ્થાનના 76 વર્ષીય સખારામ રાજપૂતે પણ અનોખી ભક્તિનું ઉદાહરણ પૂરું પાડતાં આશરે 700 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરીને બુધવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પોતાની યાત્રા અર્પણ કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Jul 2026 04:49 PM (IST)Updated: Fri, 24 Jul 2026 04:49 PM (IST)
devbhumi-dwarka-news-76yearold-devotee-completes-700-km-dwarka-dandvat-yatra
HIGHLIGHTS
  • જામનગર નજીક રૂ. 3 લાખ લૂંટાયા છતા સખારામનું મનોબળ ન ડગ્યું


Dwarka Dandvat Yatra: દેવભૂમિ દ્વારકાના પવિત્ર જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દરરોજ દેશના વિવિધ રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. ભક્તોમાં કેટલાક એવા પણ હોય છે, જેઓ કઠિન સંકલ્પો સાથે પોતાની આસ્થા વ્યક્ત કરે છે.

રાજસ્થાનના 76 વર્ષીય સખારામ રાજપૂતે પણ અનોખી ભક્તિનું ઉદાહરણ પૂરું પાડતાં આશરે 700 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરીને બુધવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પોતાની યાત્રા અર્પણ કરી હતી.

રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી જાન્યુઆરીએ દંડવત યાત્રાનો પ્રારંભ કર્યો હતો

રાજસ્થાનના બાડમેર જિલ્લાના પૌશાલનગર અસાડા ગામના રહેવાસી સખારામ રાજપૂતે જાન્યુઆરી મહિનામાં પોતાના વતનથી દંડવત યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સતત અનેક મહિનાની કઠિન સાધના અને સંકલ્પ બાદ તેઓ ગઈકાલે તા. 22 જુલાઈના રોજ દ્વારકા પહોંચ્યા હતા.

દ્વારકામાં તેમના આગમન સમયે સ્થાનિક ભક્તો અને સેવાભાવીઓએ પુષ્પહાર પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી 700 કિલોમીટરની દંડવત યાત્રા ભગવાનને સમર્પિત કરી હતી.

naidunia_image

જામનગર નજીક લૂંટી લેનારા ઝડપાયા, પરંતુ હજુ સુધી રકમ પરત નથી મળી

સખારામ રાજપુતે જણાવ્યું કે, દ્વારકાની આ તેમની ત્રીજી દંડવત યાત્રા છે. હવે તેઓ અહીંથી ચોથી યાત્રાનો પ્રારંભ કરશે, જે રાજસ્થાનના પ્રસિદ્ધ રણુજા તીર્થ સુધી પૂર્ણ કરવાની તેમની ભાવના છે. તેમણે જણાવ્યું કે સમગ્ર યાત્રા દરમિયાન અનેક સ્થળોએ લોકોનો સહયોગ અને સ્નેહ મળ્યો, જેના કારણે આ લાંબી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી.

યાત્રા દરમિયાન બનેલી એક દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરતાં સખારામ રાજપૂતે જણાવ્યું કે, જામનગર નજીક કેટલાક શખ્સોએ તેમની પાસેથી આશરે 3 લાખ રૂપિયાની રકમ લૂંટી લીધી હતી. આ કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હોવા છતાં તેમની લૂંટાયેલી રકમ હજુ સુધી પરત મળી નથી, જે બાબતનો તેમને ખેદ છે.

વૃદ્ધાવસ્થામાં પણ અડગ શ્રદ્ધા, ધૈર્ય અને સંકલ્પ સાથે પૂર્ણ કરાયેલી સખારામ રાજપુતની દંડવત યાત્રા દ્વારકામાં ઉપસ્થિત ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમની આ અનોખી ભક્તિ અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહી છે.